Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયા બીજા નંબરે ગબડ્યું

આઈસીસીએ અચાનક નિયમ બદલ્યો : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલને લઈ આઇસીસીના તાજા નિયમ બાદ હવે ઈન્ડિયા બીજા નંબર પર આવી ગઈ છે

નવી દિલ્હી,તા.૨૦ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે જેના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલનો નિયમ જ બદલી દીધો છે જેના કારણે બુધવાર સુધી નંબર ૧ પર રહેલી ટીમ ઈન્ડિયા હવે બીજા નંબરે ગબડી ગઈ છે. તો તેની સામે બીજા નંબરે રહેલી ઓસ્ટ્રેલિયનની ટીમ રેક્નિંગમાં હવે નંબર ૧ બની થઈ છે. મૂળે આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશશિપના રેક્નિંગનો આધાર હવે પોઇન્ટ ટેબલ નહીં પરંતુ જીતની ટકાવારી બનાવ્યો છે. જેનો અર્થ એ છે કે જે ટીમની જીતની ટકાવારી વધારે હોય તો ટીમ હવે નંબર ૧ પોઝિશન પર હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ના પોઇન્ટ ટેબલને લઈને આઇસીસીના તાજા નિયમ બાદ હવે ટીમ ઈન્ડિયા બીજા નંબર પર આવી ગઈ છે.

              મૂળે ટીમ ઈન્ડિયાએ ૪ સીરીઝ રમી છે અને તે જીતની ટકાવારી ૭૫ ટકા છે, બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ ૩ સીરીઝમાં ૮૨.૨૨ ટકાની સાથે પહેલા નંબર પર પહોંચી ગઈ છે. આ પહેલા ટીમ ઈન્ડિયા ૩૬૦ પોઇન્ટ્સની સાથે પહેલા નંબરે હતો અને ઓસ્ટ્રેલિયાના ૨૯૬ પોઇન્ટ હતા. આઈસીસીના આ નિયમ બાદ હવે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે યોજાનારી આગામી સીરીઝ અને વધુ રોમાંચક થઈ જશે. થોડાક જ દિવસોમાં આ બંને ટીમોની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જોરદાર ટક્કર થવાની છે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે ટકરાયા બાદ દક્ષિણ આફ્રિકાથી ટેસ્ટ સીરીઝ રમશે અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રીજા નંબર પર ઈંગ્લેન્ડ છે. જેને ૪ ટેસ્ટ સીરીઝમાં ૬૦.૮૩ પોઇન્ટ મેળવ્યા છે. ન્યૂઝીલેન્ડ ચોથા નંબરે છે તેના જીતની ટકાવારી ૫૦ ટકા છે. ૩૯.૫૨ ટકા સાથે પાકિસ્તાન પાંચમા નંબર પર છે. છઠ્ઠા નંબરે શ્રીલંકા, સાતમા નંબરે વેસ્ટ ઈન્ડિઝ, આઠમા નંબરે દક્ષિણ આફ્રિકા અને નવમા નંબરે બાંગ્લાદેશ છે.

(7:26 pm IST)