Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ઇજાના લીધે બીજી ટેસ્ટ મેચમાંથી રીદ્ધિમન બહાર

નવી દિલ્હી: ઈજાગ્રસ્ત વિકેટકિપર રીદ્ધિમન સાહા સાઉથ આફ્રિકા પ્રવાસથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ હવે દિનેશ કાર્તિકને લેવામાં આવ્યો છે. જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આપી છે. કાર્તિક ત્રીજી ટેસ્ટ પહેલા સાઉથ આફ્રિકા પહોંચી જશે. તેને સાત વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ છે. તેણે છેલ્લે વર્ષ ૨૦૧૦માં બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમી હતી. 
રીદ્ધિમન સાહાને ૧૧ જાન્યુઆરીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન પગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ બીસીસીઆઈની મેડિકલ ટીમ સતત તેની ઈજા પર નજર રાખી રહી હતી. સેંચુરીયનમાં રમાઈ રહેલ ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચના ટોસ દરમિયાન વિરાટ કોહલીએ જણાવ્યુ હતું કે, સાહાને ઈજાના કારણે બહાર બેસાડવામાં આવ્યો છે, જ્યારે તેની જગ્યાએ પાર્થિવ પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા તરફથી ૭૨ રનથી હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે બીજી ટેસ્ટ માટે કેપ્ટન કોહલીએ સાહા સહિત ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા. જેમાં ભુવનેશ્વરની જગ્યાએ ઈશાંત શર્મા અને ઓપનર શિખર ધવનની જગ્યાએ એલ રાહુલને ટીમમાં સામેલ કરાયો હતો.

(4:56 pm IST)