Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ઈન્ડિયા બોલિંગ લાઈનઅપમાં મહત્વના ફેરફાર કરી શકે છે

ઓવલ પર આજથી ભારત-ઈંગ્લેન્ડની ચોથી ટેસ્ટ : પાંચ મેચની શ્રેણી ૧-૧થી બરોબર છે ત્યારે શ્રેણીમાં સરસાઈ મેળવવા માટે ભારત અને ઈંગ્લેન્ડ જોર લગાવશે

લંડન, તા.૧ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ૨ સપ્ટેમ્બરથી લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. આ સમયે સિરીઝ ૧-૧થી બરોબર છે. લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ભારતે સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી હતી. પરંતુ લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરતા ભારતને ઈનિંગ અને ૭૬ રને પરાજય આપી સિરીઝમાં ૧-૧ની બરોબરી કરી છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટમાં ટીમમાં બે ફેરફાર કરી શકે છે.

ટીમ ઈન્ડિયા અંતિમ ઇલેવનમાં પોતાના બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર કરશે નહીં પરંતુ બોલિંગ યૂનિટમાં ફેરફાર થઈ શકે છે. ઓવલ ટેસ્ટ જીતીને ભારતની પાસે ૧૪ વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાની શાનદાર તક છે. ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગમાં ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને કેએલ રાહુલ સંભાળશે. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા ત્રીજા સ્થાને બેટિંગ કરશે. પુજારાએ લીડ્સમાં રમાયેલી બીજી ઈનિંગમાં ૯૧ રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી ટીમની જવાબદારી સંભાળશે.

પાંચમાં સ્થાને અજિંક્ય રહાણે બેટિંગ કરવા ઉતરશે. તો વિકેટકીપરની જવાબદારી રિષભ પંત પાસે રહેશે. બોલિંગમાં રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું નક્કી છે. અશ્વિન પ્રથમ ત્રણ ટેસ્ટમાં બહાર રહ્યો હતો. તો ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો ઈશાંત શર્માને બહાર કરવામાં આવી શકે છે. લીડ્સમાં ઈશાંત એકપણ વિકેટ ઝડપી શક્યો નહીં. તે લયમાં જોવા મળી રહ્યો નથી.

ઈશાંત શર્માની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાની શક્યતા છે. તેના આવવાથી ભારતની ટેલ મજબૂત થશે. જસપ્રીત બુમરાહ બોલિંગ યૂનિટની આગેવાની કરશે. તેની સાથે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળવાની સંભાવના છે. ભારત આ વખતે પણ ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરશે. જેનો સંકેત કોહલીએ આપ્યો હતો.

ચોથી ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ ઇલેવન આ મુજબ રહી શકે છેઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

(7:56 pm IST)