ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા દિવ્યાંગોની સેવા કરાઈ
જૂનાગઢઃ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢનાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા જૂનાગઢ પાસે આવેલ વિજાપુર ખાતેની સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટેની નિવાસી સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી તે વખતની તસ્વીરો. આ તકે યુનિવર્સિટીના કુલપતિ પ્રો.જે.પી. મૈયાણીના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. જયસિંહ ઝાલા, લેકચરર્સ ડો. પરાગભાઈ દેવાણી અને ડો. ઋષિરાજભાઈ ઉપાધ્યાય તથા ભવનના તમામ વિદ્યાર્થીઓએ આખો દિવસ બાળસ્વરૂપના માનવદેહો સાથે વિતાવીને વિવિધ વિષયો અંતર્ગત તલસ્પર્શી માહિતી મેળવી હતી. ભવન દ્વારા જ ત્યાં સંસ્થાના મેનેજમેન્ટની દેખરેખ હેઠળ સૌ માટે રસોઈ બનાવીને સર્વે દિવ્યાંગોને ભાવપૂર્વક જાતે જ જમાડવામાં આવ્યા હતા. દિવ્યાંગોની દિનચર્યા, તેઓની જરૂરીયાતો, આહાર, રમતગમતની પ્રવૃતિઓ, કસરત અને ફીઝીયોથેરાપી અંગેની માહિતી તેમજ ચોવીસ કલાકની સારસંભાળ સહિતની વિસ્તૃત અને ઉંડાણપૂર્વક માહિતી સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા રાજુભાઈ ગાંધીએ ભવનના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓને આપી હતી. દિવ્યાંગો ઉપર પદ્ધતિસર અને હકારાત્મક સંશોધન કરવાથી અનન્ય સમાજ સેવા કરવાનો મોકો પ્રાપ્ત થાય તેમ છે તેવા તારણો પણ આ મુલાકાત દ્વારા નિકળ્યા છે. સરકાર તથા સમાજ શ્રેષ્ઠીઓ, લોકો વિગેરેના સંયુકત પ્રયાસોથી દિવ્યાંગો માટે સાચા અર્થમાં અસામાન્ય સેવા થઈ શકે તેમ છે તેવુ પણ રીસર્ચના અંતે સમાજશાસ્ત્ર ભવન દ્વારા તારણ કાઢવામાં આવ્યું હતું