ઇએસપીએન કંપનીમાં રોકાણના બહાને જૂનાગઢના બે શખ્સોને રૂા. ૬.૪૮ લાખનો ચુનો
વિશ્વાસઘાત - છેતરપિંડીની ફરિયાદ
(વિનુ જોશી) જૂનાગઢ તા. ૩૦ : ઇએસપીએન કંપનીમાં રોકાણના બહાને જૂનાગઢના બે શખ્સોએ રોકાણકારોને રૂા. ૬.૪૮ લાખનો ચુનો ચોપડી દીધો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ અજંતા પાર્ક સોસાયટીમાં રહેતા પોપટભાઇ જીવરાજભાઇ ગરેજા અન્ય લોકોને ટીંબાવાડીનો કિશન બોરખતરીયા અને વિજય વાઢીયાએ ઇએસપીએન કંપનીમાં રોકાણ કરવાના બહાને રૂા. ૩.૬૦ લાખના બાવન વીકમાં રૂા. ૧૨.૪૦ લાખ પરત આપવાની લાલચ આપી રોકાણ કરવા જણાવ્યું હતું.
આ બંને એજન્ટોના વિશ્વાસે પોપટભાઇએ રોકાણ માટે વિજયને તેના નામનો રૂા. ૩ લાખની રકમનો ચેક અને રૂા. ૬૦ હજારની રોકડ આપી હતી.
તેમજ અન્ય બે વ્યકિત પાસેથી બંને એજન્ટોએ રૂા. ૭.૨૦ લાખ મળી કુલ રૂા. ૧૦.૮૦ લાખ મેળવી લીધા હતા. જેમાંથી રૂા. ૬.૪૮ લાખ પરત નહિ આપી વિશ્વાસઘાત - છેતરપિંડી કર્યાની ફરિયાદ પોપટભાઇ ગરેજાએ રાત્રે નોંધાવતા સી-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
વિશેષ તપાસ પી.એસ.આઇ. જે.જે.ગઢવી ચલાવી રહ્યા છે.