મોરબી કાલીકા પ્લોટમાં બોલાચાલી બાદ મહિલા સહિતનાને મારમારી તોડફોડ : ૯ સામે ગુન્હો
પરણિતાના છુટાછેડા મામલે દંપતિને મારમાર્યો : પિતા-પુત્ર સામે ફરીયાદ
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩૦ : મોરબીમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ભય ન હોય તેમ સરાજાહેર આતંક ફેલાવતા હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં કાલિકા પ્લોટમાં નર્મદા હોલ પાસે ઝગડો થતા ૯ ઈસમોએ ઘાતકી શાષાો સાથે મહિલા સહિતના ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં મુનીરાબેન અલીભાઇ ધોળાએ દાઉદ મામદ પલેજા, ઇમરાન મામદ પલેજા,અલી મામદ પલેજા, ફરદિન દાઉદભાઇ પલેજા, અરમાન દાઉદભાઇ પલેજા, રેહાન ઇમરાનભાઇ પલેજા, વશીમ યુનુસભાઇ પલેજા, હરભજન ઉર્ફે ગેંડો ધવલસિંહ ખીંચી સરદારજી અને રહિમ ઉર્ફે ટકો વલીમામદભાઇ ચાનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યાં મુનીરાબેનના પૌત્ર ફૈજ તથા નઇમ મસ્જિદે નમાજ પઢવા ગયેલ હોય ત્યા આરોપી રેહાન ઇમરાનભાઇ પલેજાએ મુનીરાબેનના પૌત્રોને ગાળો આપતા માથાકુટ થયેલ તેનો રોષ રાખી આ કામના આરોપીઓએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા સોડા બોટલ- પથ્થરો જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ નર્મદા હોલ પાસે મુનીરાબેનના ઘર પાસે આવી ભુંડાબોલી ગાળો બોલી મકાનના દરવાજા પર પાઇપ તથા લાકડાના ધોકા મારી ખોલતા આરોપીઓએ સોડા બોટલ તથા પથ્થરોના છુટ્ટા ઘા આ કામના મુનીરાબેનના મકાન પર તથા રશીદાબેન તથા હનીફાબેનના ઘર પર હુમલો કરી મકાનની ઘર-વખરીમા નુકશાન પહોચાડ્યું હતું. આ મુદ્દે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૩૩૬, ૪૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં મોરબીના વાવડી રોડ પર ભગવતી હોલની સામે રહેતા પ્રેમજીભાઈ કરશનભાઈ વાઘેલા (ઉ.૪૫) ની ભત્રીજી ના લગ્ન આરોપી સુનીલ પુનાભાઈ પરમાર સાથે થયેલ હોય હાલે રીસામણે હોય અને છુટું કરવાનું હોય જે બાબતનો ખાર રાખી આરોપી પુનાભાઈ છોટુભાઈ પરમાર અને સુનીલ પુનાભાઈ પરમારે ફરિયાદી પ્રેમજીભાઈના ઝુપડા પાસે આવી ગાળો આપી આરોપી પુનાભાઈ એ ધોકા વડે માર મારી તેમજ સાહેદ પત્ની લીલાબેનને આરોપી સુનીલે ધોકા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં પ્રેમજીભાઈ એ નોધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.