વાંકાનેરમાં પ્રભુભાઇ રાચ્છની પુણ્યતિથી નિમિતે ભજનનો કાર્યક્રમ
વાંકાનેર,તા. ૨૯ : વાંકાનેરમાં આવેલ સુપ્રસિદ્ધ સામાજિક આધ્યાત્મિક અને ધાર્મિક સ્થળ શ્રી ગાયત્રી શકિત પીઠ, શ્રી ગાયત્રી મંદિરની પાવન ભૂમિમાં આજરોજ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી સ્વ.શ્રી પ્રભુભાઈ રાચ્છની ચોથી પુણ્યતિથિ નિમિત્તે આજે સાંજના ૪ થી ૬ સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન, સકીર્તન રાખેલ છે.
જેમાં જોડિયાવાળા હાલ રાજકોટના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી અલ્કેશભાઈ સોની તથા તેમના સાથીદારો અનેરા સંગીતની શૈલી સાથે વિધ વિધ ઢાળો સાથે સુંદરકાંડની ચોપાઈનું ગાન કરશે તેમજ સાથે સાધક ભાવીક ભક્તજનો સામુહિકમાં પાઠનુ ગાન કરશે. ત્યારબાદ સાંજે ૬ થી ૮ દરમ્યાન શ્રીનાથજીના ગીતો, ભજન ધૂન વગેરે રજૂ કરશે જેમાં વાંકાનેરના શ્યામ ધૂન મંડળના ભાવિક, ભક્તજનો અનેરા સંગીતની શૈલી સાથે રંગત જમાવશે આ કાર્યક્રમનો શુભ પ્રારંભ મંગલમય દીપપ્રાગટીયવિધિ શ્રી ગાયત્રી મંદિરના શ્રી અશ્વિનભાઈ રાવલ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલ તથા ભૂદેવો દ્વારા કરવામાં આવશે અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્વં શ્રી પ્રભુભાઈ રાચ્છે પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી સાથે બાર વર્ષ તીર્થયાત્રામાં પરિભ્રમણ કરેલ હતું જેમના ગુરૂદેવ જોડિયાધામ રામવાડી આશ્રમના મહંત પ.પુ.શ્રી ભોલેદાસજીબાપુ હતા અનેક સાધુ સંતોની સેવામા સ્વં પ્રભુભાઈ કાયમ રહેતા હતા અને જોડિયામા સુતારશેરીમા આવેલ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિરમાં ઘણા વર્ષો તેમને માતાજીના ગરબા નવરાત્રીમાં ગાયેલા હતા.
સદાય સંત સેવા અને બાબાજીની સેવામા રહેતા હતા આજે તેમની ચોથી પુણ્યતિથિ નિમિત્તે વાંકાનેર મા શ્રી ગાયત્રી મંદિરમા સાંજે ૪ થી ૮ સુંદરકાંડ ના સંગીતમય પાઠ, હનુમાન ચાલીસા, ભજન તેમજ શ્રી નાથજીના ભજન, કીર્તન રજૂ કરશે સરકારની ગાઈડલાઈન અનુસાર આ કાર્યક્રમ યોજાશે સર્વે ભાવિક ભક્તજનોને પધારવા નિમંત્રણ છે.