સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th January 2022

ભાવનગરમાં ચાર જિલ્લા માટે અદ્યતન અને વિશાળ કેમ્‍પસ સાથે પ્રથમ કુદરતી ઉપચાર કેન્‍દ્રઃ છ એકરના ૬ હજાર જેટલા વૃક્ષોના સાનિધ્‍યમાં પ્રારંભ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯: આજના યુગમાં ઘણા રોગો, સારવાર માટે અનેક ડોક્‍ટર, દવા તથા વિવિધ ઉપચારોથી દૂર ન થતાં અંતિમ ઉપાય તરીકે પ્રાકૃતિક ચિકિત્‍સા અજમાવવામાં આવે છે
આપણું શરીર પંચમહાભૂત તત્‍વ એટલે કે પૃથ્‍વી-માટી, જળ, વાયુ, અગ્નિ-સૂર્ય તથા આકાશ-અવકાશનું બનેલું છે અને તે તત્‍વોના માધ્‍યમથી કરવામાં આવતી સારવારને કુદરતી ઉપચાર કહેવામાં આવે છે્‌
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કુદરતી ઉપચાર કેન્‍દ્ર ચાલે છે જેમાં કચ્‍છથી શરૂઆત થઇ છે પરંતુ ભાવનગર, બોટાદ, અમરેલી તથા સુરેન્‍દ્રનગર જિલ્લામાં એક પલ કુદરતી ઉપચાર ઉપચાર કેન્‍દ્ર નથી આવા સંજોગોમાં ભાવનગરની સંસ્‍થા પરમાર્થ ફાઉન્‍ડેશન તથા વિકલાંગો માટે કાર્યરત પીએનઆર સોસાયટી દ્વારા સંયુક્‍ત ઉપક્રમે કુદરતી ઉપચાર કેન્‍દ્ર શરૂ થઈ રહ્યું છે
ભાવનગર શહેરના બોરતળાવ પાસેના કુદરતી વાતાવરણમાં પીએનઆર સોસાયટીના છ એકરના લીલાછમ વિસ્‍તારમાં છ હજાર જેટલા નાનામોટા વૃક્ષોના સાનિધ્‍યમાં પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા દિવ્‍ય વાતાવરણમાં પંચમહાભૂત તત્‍વના સાનિધ્‍યમાંᅠ સરળ પ્રાકૃતિક ઉપચારનો એક અનોખો લાભ ભાવનગર જિલ્લાના લોકોને મળી શકશે અને સ્‍વાસ્‍થ્‍ય સાધકો મનને સ્‍વસ્‍થ બનાવી ને આત્‍માને પ્રસન્ન કરી શકશે,
રોજ-બરોજના કંટાળાજનક શહેરી વાતાવરણથી દૂર છતાં શહેરની મધ્‍યમાં આવેલ આ પીએનઆર સોસાયટીનું કેન્‍દ્ર મન તથા શરીરના આરામ માટે એક ઉત્તમ આદર્શ સ્‍થળ બની રહેશે.
બોરતળાવના કિનારે પ્રાકૃતિક વાતાવરણ વચ્‍ચે આ કેન્‍દ્રમાં કુદરતી ઉપચારના નિષ્‍ણાત ચિકિત્‍સકો દ્વારા નેચરોપેથી એક્‍યુપ્રેશર તથા વિવિધ પ્રકારની યૌગિક ક્રિયાઓ ઉપલબ્‍ધ છે,ᅠ માત્ર નવ પથારીથી શરૂ થનારા કેન્‍દ્રમાં ખૂબ જ વ્‍યાજબી ભાવે રહેવા જમવા તથા ચિકિત્‍સાની ઉત્તમ સગવડ મળવાની છે જે ગુજરાતમા સૌથી વધુ રાહત દરે મળશે. આ કેન્‍દ્રમાં બગીચો, ગ્રંથાલય, વોકિંગ ટ્રેક, મડ થેરાપી, જળ થેરાપી તથા યોગિ ક્રિયાઓની અદભુત સેવા મળશે,
વિવિધ દર્દીઓની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને કાયાકલ્‍પ માટે જુદા જુદા પોષણયુક્‍ત આહાર પર ધ્‍યાન આપીને કુદરતી વાતાવરણમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી તાજો અને પોષણયુક્‍ત સ્‍વાદિષ્ટ ભોજન આપવામાં આવશે,
સામાન્‍ય રીતે ડાયાબિટીસ, બ્‍લડપ્રેશર, હૃદયરોગ, સંધિવા, ગઠીયો વા, સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, હાડકાનો દ્યસારો, કમરના દુખાવા, લકવો, મેદસ્‍વિતા એટલે કે જાડાપણું વજન દ્યટાડો, કંપવા, પેટના રોગો, અપચો, કબજિયાત,શ્વશનતંત્રના રોગો, ચામડીના રોગો વગેરે માટે અહીં કુદરતી ઉપચાર શક્‍ય છે.
કુદરતી ઉપચાર કેન્‍દ્રમા દરરોજ સવારે ૯ થી ૧૨ તથા સાંજના ૩ થી ૫ વચ્‍ચે ઓપીડી પણ ચાલશે જેના દ્વારા લોકોને અહીં દાખલ થયા વગર ઉપયોગી બની શકાશે.
ગાંધી નિર્વાણ દિને રવિવારે સવારના ૧૦ ઉદ્‌ઘાટન સમયે ભાવનગરમા અલ્‍ટરનેટ થેરાપી દ્વારા સેવા આપતા ડોક્‍ટર ભરતભાઈ પટેલ, વૈદ્ય મહેન્‍દ્રસિંહ સરવૈયા, વિનુભાઈ ગાંધી, મહેન્‍દ્રભાઈ બોસમીયા, ડોક્‍ટર રમુભા જાડેજા તથા પ્રોજેક્‍ટના દાતાઓ ડોક્‍ટર રાજીવ કાપડિયા તથા ધર્મેશભાઈ હરિયાણાનું પણ અભિવાદન કરવામાં આવશે
પીએનઆર સોસાયટીમાં યોજાનારા કાર્યક્રમમાં ડોક્‍ટર નલિન પંડિતના અધ્‍યક્ષ સ્‍થાને તથા બીપીનભાઈ તંબોલી ને પીએનઆર સોસાયટીના બાબાભાઈના અતિથિ વિશેષ પદે યોજાનાર છે.


 

(10:49 am IST)