ગોંડલના બાંદ્રા ગામે ઉપસરપંચે ખોટા દસ્તાવેજો ઉભા કરી ગામ તળની જગ્યાના પ્લોટમાં ભ્રષ્ટાચાર કર્યાની જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૯ : ગોંડલ તાલુકાના બાંદ્રા ગામે રહેતા રાજેન્દ્રભાઈ ઉકાભાઇ રૈયાણી એ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટને પત્ર લખી ફરિયાદ કરી હતી કે ગામના ઉપસરપંચ દિનેશભાઈ રમણીકભાઈ જસાણીએ ખોટા દસ્તાવેજો બનાવી સરકાર સાથે છેતરપિંડી કરી સરદાર આવાસ યોજનામાંથી મકાન બાંધકામના હપ્તા મેળવી નાણાની ઉચાપત કરેલ છે.
બાંદ્રા ગામમાં જુના ગામતળમાં સરકારી રાવડી પડતર ગામ તળ ની જમીન ૨૨૧ ચોરસ મીટર રમણીકભાઈ હરજીભાઈ જેઠાણીના નામની હતી. આ જમીન સો ચોરસ વાર જમીન લેન્ડ કમિટીની બેઠકના ઠરાવ થી દિનેશભાઈ રમણીકભાઈ જસાણીને હુકમ કરી ફાળવી આપેલ છે અને દિનેશભાઈ ગામ નમૂના નંબર ૨ ના ખાતાધારક પ્લોટના માલિક રમણીકભાઈ હરજીભાઈ જસાણીના પુત્ર છે તે ઉપરાંત દિનેશભાઈ રમણીકભાઈ જસાણીએ મકાનની સરકારી સહાય સરદાર આવાસ યોજનામાંથી મેળવવા બદલ બદહેતુથી તેમના પિતાની માલિકીની પ્લોટની જગ્યામાં તાલુકા વિકાસ અધિકારી ગોંડલના હુકમ કરવી મફત જમીનનો પ્લોટ જુનાગામ તળ માં ફાળવેલ છે તાલુકા વિકાસ અધિકારીના હુકમ ના આધારે બાંદ્રા ગામના સરપંચ લીલાબેન ઘોનીયાએ આ જમીનનો દસ્તાવેજ દિનેશભાઈ જસાણી ના નામનો કરી આપેલ છે મકાન બાંધકામના વર્ક ઓર્ડર મુજબ દિનેશભાઈ જસાણી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા મકાન બાંધકામ પેટે કુલ રૂપિયા ૩૬ હજારની સહાય અપાઈ છે આવી રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યાનો પત્ર લખી ફરિયાદ કરવામાં આવતા નાના એવા બાંદ્રા ગામમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.