કોરોનાના નામે કનડગતનો આરોપ : બગસરાના વેપારીઓનો બે દિવસ બજાર બંધ રાખવા નિર્ણય
વેપારીઓએ ધારાસભ્ય, ભાજપ પ્રમુખ, ઇન્ચાર્જ મામલતદાર સાથે બેઠક તોજી હતી પરંતુ આડેધડ દંડ વસુલાતા આખરે બે દિવસ બંધ પાળવા નિર્ણંય કર્યો
અમદાવાદ : રાજ્યમાં કોરોના ગાઇડ લાઇનના નામે પોલીસની કનડગતના વિરોધમાં બગસરાના વેપારીઓએ બે દિવસ બજાર જ બંધ રાખવાનો મોટો નિર્ણય લઇ લીધો છે ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોના મહામારી પર અંકુશ લાવવા માટે સરકારી માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ લોકો આ માર્ગદર્શિકાનું ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. આવા લોકોને પાઠ ભણાવવા માટે તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જોકે અમરેલીના બગસરાના વેપારીઓનું કહેવું છે કે તંત્ર દ્વારા વધુ પડતી કડકાઇ બતાવવામાં આવી રહી છે અને બેફામ દંડ ફટકારી રહી છે. જેથી બગસરાના વેપારીઓએ બે દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અમરેલીના બગસરા તાલુકામાં પાલિકા દ્વારા દંડ માટે નિમાયેલા અધિકારીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નામે નાના-મોટા વેપારીઓ સામાન્ય પ્રજાને દંડ ફટાકારી રહ્યા છે. જેના વિરોધમાં બગસરાની તમામ સંસ્થાઓ દ્વારા બગસરા આજથી 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક વેપારીઓ અને સામાન્ય લોકોએ આરોપ લગાવ્યા છે કે બગસરામાં મામલતદાર તેમજ નગરપાલિકા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે ટીમ બનાવી દરરોજ મસમોટી રકમનો દંડ વસુલાત કરવામાં આવે છે. સ્થાનિકોનું આરોપ છે કે કોરોના મહામારીના નામે લોકોને ખંખેરવાનો પોલીસ સ્ટાફે નવો કીમિયો શોધી લીધો તેવું લાગી રહ્યો છે.
બગસરા ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, હોલસેલ તેમજ રિટેલર કિરાણા એસોસિએશન, પાનબીડી એસોસિયેશન, કાપડ એસોસિએશન, મશીનરી તેમજ હાર્ડવેર એસોસિએશન સહિતની વેપારી સંસ્થાના હોદ્દેદારોએ ધારાસભ્ય જે.વી.કાકડીયા તેમજ બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રિબડીયા ઇનચાર્જ મામલતદાર સાથે તંત્ર દ્વારા વસૂલાતો દંડ બાબતે બેઠક યોજી હતી, પરંતુ કોઇ નિર્ણય ના આવતા બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે