ગોંડલમાં વ્યાજની વસુલાત માટે વેપારીને મકાન વેચી નાખવા ધમકી : ૪ સામે ફરીયાદ
ક્રિપાલસિંહ, સતુભા, મીરાજ તથા જીજ્ઞેશ ડોડીયા સામે પોલીસમાં ગુન્હો નોંધાયો
રાજકોટ, તા., ૨૭: ગોંડલમાં વ્યાજની વસુલાત માટે વેપારીને ૪ શખ્સોએ મકાન વેચી નાખવા અથવા તો ખાલી કરવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ગીતાનગરમાં રહેતા વેપારી કિશોરભાઇ કરશનદાસ મેસવાણીયાએ આરોપી ક્રિપાલસિંહ દરબાર જેની ઓફીસ બસ સ્ટેન્ડ સામે, યાર્ડની બાજુમાં, હરભોલે બેકરીની ઉપર, સતુભા દરબાર કે જેની ઓફીસ વિક્રમસિંહજી કોમ્પલેક્ષ ખાતે આવેલ છે, મીરાજ ભુવનેશ્વરી મંદિર સામે, રામડેરીની બાજુમાં દુકાનવાળો તથા જીજ્ઞેશ ડોડીયા ભુવનેશ્વરી મંદિર સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત ચારેય શખ્સોએ નાણા ધીરધારના વગર લાયસન્સે ફરીયાદીને પોતાની પત્નીની કેન્સરની સારવાર માટે આઠેક મહિનામાં પ.રપ લાખ ઉંચા વ્યાજે આપેલ હતા અને ફરીયાદીએ વ્યાજ પેટે આજ દિન સુધીમાં ૪.રપ લાખ ચુકવી દીધા હોવાછતા ઉકત ચારેય શખ્સો મૂળ રકમ તથા ચડત વ્યાજ સાથે ચુકવી આપવા ફરીયાદીને દબાણ કરી મકાન ખાલી કરી નાખવા અથવા મકાન વેચી નાખી રૂપીયા આપવા પતાવી દેવાની ધમકી આપી હતી.
આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ઉકત ચારેય સામે મનીલેન્ડ એકટ સહીતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો