ગૌવંશની કતલ કરનાર તથા પશુઓ સાથે ક્રૂરતા આચરનાર શખ્શ સામે પાસાની કાર્યવાહી:પાલનપુર જેલ હવાલે કરાયો
બાબરા, અમરેલી, સાવરકુંડલા એમ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા તાજેતરના કેસો ઉપરાંત ભૂતકાળમાં પણ તેના સામે કેસ નોંધાયા
અમરેલી:અમરેલી સ્થિત કસ્બા ખાતે રહેતા સાજીદ ઉર્ફે હાજી અલીભાઈ તરકવાડીયા નામના માથાભારે શખ્શ સામે પાસા વોરંટ ઈસ્યુ કરી તેને પાલનપુર જેલ હવાલે કરવામાં આવ્યો છે. ગૌવંશની કતલ કરવી, ગૌમાસનું વેચાણ કરવું, પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને મોકલવા તથા માથાભારે વર્તન કરનાર શખ્શની સામે પાસા તળે અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ શખ્શ સામે બાબરા, અમરેલી, સાવરકુંડલા એમ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા તાજેતરના કેસો હતા તે ઉપરાંત ભૂતકાળમાં પણ તેના સામે કેસ નોંધાયા હતા. ઈસમ વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરતો હોય તેના સામે કડક કાર્યવાહી માટે તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો હતો. આથી, મજકુર ઈસમને તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પોલીસ દ્વારા વોરંટ બજવણી કરી તેને પાલનપુર જેલ હવાલે કરવામાં આવ્યો છે.