ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસની વધુ એક રોપેક્ષ જહાજ સર્વિસ ચાલુ કરવા પ્રયાસ શરૂ
રોપેક્ષ ફેરી સર્વિસનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ
સુરત : સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે કારગર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ તાજેતરમાં વડા પ્રધાન મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવી હતી. ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ થવાના કારણે રોડ પરિવહન દ્વારા લાગતા સમયમાં તેમજ ઇધણમાં ઘટાડો થતા રોપેક્ષ ફેરીને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેથી આગામી દિવસોમાં ઘોઘાથી હજીરા માટે વધુ એક રોપેક્ષ ફેરી સર્વિસ ચાલુ કરવા સરકાર તેમજ રાજકીય નેતાઓ દ્વારા પ્રયાસો હાથ ધરાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે વિકાસના દ્વાર ખુલવા જઈ રહ્યા છે.
ઘોઘાથી દહેજ ખાતે દરિયાઈ મુસાફરી માટે ફેરી સર્વિસની શરૂઆત થાય તે દેશના વડા પ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાને કઇ રીતે જોડી શકાય, કઇ રીતે સડક માર્ગના અંતરને ઓછું કરી જળમાર્ગ સાથે જોડી શકાય તે દિશામાં કામગીરી કરવામાં સરકાર આગળ ધપી રહી છે.