ભુજમાં બીમાર પત્નીનું સારવાર દરમિયાન મોત થતા પતિ પલાયન
હોસ્પિટલ દ્વારા પતિ અને પરિવારજનોને મૃતદેહ સ્વીકારવા અપીલ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ટી.બીના દર્દી તરીકે ચેસ્ટ વોર્ડમાં દાખલ થયેલા અને ભુજ કેમ્પ વિસ્તારમાં રહેતા પ્રિયમાનબેન (ઉ.વ.૩૦)નું સારવાર દરમિયાન બીમારીને લીધે નિધન થયું છે. પરંતુ, હાલમાં તેમના પતિ કે કોઈ વાલી-વારસ હાજર ન હોઈ તેમના અંતિમ સંસ્કાર માટે સદગતનો મૃતદેહ અર્પણ કરવાનો હોવાથી તેમના પરિવારજનોએ કે પતિએ જી.કે. જનરલ હોસ્પિટ્લના નંબર ૦૨૮૩૨ ૨૪૬૪૪૪ ઉપર અથવા મેનેજર ઓન ડ્યૂટી મો.ન. ૯૦૯૯૯ ૧૮૦૦૦ ઉપર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.દર્દી ૧૪-૧૧-૨૦૨૧ના રોજ જી.કે.માં દાખલ થયા હતા. શરૂઆતમાં તેમના પતિ અમનદીપસિંહ બરદાસી તરીકે સાથે રહેતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી દર્દીને હોસ્પિટલમાં એકલા મૂકીને ચાલ્યા ગયા હતા. હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલુ હતી દરમિયાન ૧૯-૧-૨૦૨૨ના રોજ બીમારીને લીધે તેમનું મૃત્યુ થયું છે. તેમના પતિ અમનદીપસિંહના મો.ન. ૮૮૦૬૧૩ ૭૭૮૧ ઉપર સંપર્ક શકય નથી બનતો. તેમજ કોઈ વાલી કે વારસ પણ ભાળ લેવા આવ્યા નથી.
દરમિયાન જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા બી ડિવિઝન પોલીસને પણ આ અંગે જાણ કરી છે. તેમના દ્વારા પણ તપાસ કરાતા વાલી-વારસનો પત્તો હજુ મળ્યો નથી. જો કોઈ વાલીનો પત્તો નહીં મળે તો સમય વીતે નિયમાનુસાર અંતિમવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.