પીવાના પાણીની પાઈપલાઈનના અભાવે તેમજ અનિયમિત પાણીના કારણે લોકોને પાણીથી વંચિત રહેવું પડે છે : ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર
બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના પીવાના પાણીના પ્રશ્નો હલ કરો : ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવ્યો
બાબરા-સાવરકુંડલા,તા.૨૪ : બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર દ્વારા જીલ્લા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરેલ છેકે, બાબરા તેમજ લાઠી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં મહીપરીએજ યોજનાનું પીવાનું પાણી મળતું નથી. તેના કારણે ગામના લોકોને ખરા ઉનાળે પીવાના પાણી મેળવવા માટે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહેલ છે.
ધારાસભ્ય ઠુંમ્મરે જીલ્લા કલેકટરને બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણી પ્રશ્ને વિગતો સાથે જણાવેલ છે કે, લાઠી તાલુકાના અકાળા ગામ, નાનારાજકોટ, દુઘાળા બાઇ, મુળીયાપાટ, રામપર, મતીરાળા જેવા ગામોમાં મહીપરીએજ કે નર્મદાનું પીવાનું પાણી મળતું નથી. અહીં મહીપરીએજ યોજના ની પાઇપ લાઇન ના જોડાણ ના અભાવે ગામના સ્થાનીક લોકો પીવાના પાણી થી વંચિત રહે છે. ત્યારે ઉપરોકત ગામડાઓમાં ૧૦ એચ.પી. મોટર ,૪૦ મી. દંડો વિગેરે મશીનરી પાઇપ લાઇન ફીટ કરી પીવાના પાણીની સુવિધા ત્વરીત ઉભી કરવી. તાલુકાના મુળીયાપાટ ગામે પાણીના સ્ટોરેજ માટે ભૂગર્ભ સંમ્પ નું કામ ત્વરીત મંજુર કરવું, તેમજ લાઠી તાલુકાના મતીરાળા ગામ ૬૦૦૦ ની વસ્તિ ઘરાવે છે, અહીં નર્મદાની પાણીની પાઇપ લાઇન ઇશ્વરીયા - વરસડા થી મતીરાળા સુઘી આશરે ૧૦ કી.મી. ની છે, જે ખુબ જ જર્જરીત છે અને અવાર નવાર ભંગાણ સર્જાય છે, જેથી ગામને મળતું પાણી બંઘ થાય છે. લાઠી તાલુકાના રામપર ગામે અનુ.જાતિ સ્મશાનમાં પણ રીંગદાર સબમર્શીબલ મોટર,ઓવરહેડટાંકો ફાળવવામાં આવે તેવી માંગણી કરેલ છે.
આજરીતે બાબરા તાલુકાના લાલકા, ખંભાળા, નિલવડા, ત્રંબોડા, ઇગોરાળા, ભીલડી દરેડ જેવા ગામોમાં મહીપરીએજ યોજનાની પાઇપ લાઇન ના અભાવે અથવા તો જર્જરીતના કારણે ગામના સ્થાનીક લોકોને પીવાના પાણીથી વંચીત રહેવું પડે છે. તાલુકાના ખંભાળા ગામે મહીપરીએજ યોજનાનું પાઇપ લાઇન નું કામ ધીમી ગતીએ ચાલુ છે, જે સત્વરે પુરૂ કરવા તેમજ નિલવડા ગામે ૨૦-૨૦ દિવસ સુઘીપાણી મળતું નથી.તાલુકા ના પાંચાળ વિસ્તારના કલોરાણા ગામે નર્મદાનું પાણી મહીનાઓ સુઘી આવતું નથી. અનિયમિત પાણી આવતું હોવાની ફરીયાદ અનેક વાર ગામના સરપંચ દ્વારા કરવામાં આવેલ છે. તાલુકાના દરેડ ગામે પીવાના પાણી નો ટાંકો જર્જરીત હોવાથી પાણીનો સ્ટોક કરવાનો મુશ્કેલ બનેલ છે, જેથી અહીં ૩ લાખ લીટર પાણીનો ટાંકો ફાળવવામાં તેવી રજુઆત કરવામાં આવેલ છે.
બાબરા-લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમ્મર દ્વારા જીલ્લા કલેકટરને રૂબરૂ મળી પત્ર પાઠવી બાબરા અને લાઠી તાલુકાના છેવાડાના ગામ સુઘી નર્મદાનું પાણી મળે તે માટે તત્કાલ કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવેલ છે.