સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd October 2020

જુનાગઢમાં કાલે ધ ફર્ન લીયો રીસોર્ટ એન્ડ કલબનું વિજયભાઇના હસ્તે ઉદ્ઘાટન

સંસ્કૃતમાં શ્લોક પઠન સાથે રીસોર્ટ-કલબનું કરાશે દિપ પ્રાગટય : પૂર્વ ડે. મેયર ગિરીશભાઇ કોટેચાના માર્ગદર્શનમાં યુવા બિલ્ડર વિપુલ કોટેચા, પાર્થ કોટેચા અને શ્યામ કોટેચાએ સાકાર કર્યો પ્રોજેકટ : ૧૦ એરકન્ડીશન્ડ, ૧૦પ લકઝરીય રૂમ, બેન્કવેટ હોલ, રેસ્ટોરન્ટ વગેરે ઉપરાંત સમૃદ્ધ પુસ્તકોના પુસ્તકાલય સહિતની વ્યવસ્થા : રીસોર્ટમાંથી સીધા જ ગિરનારના દર્શન, ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધા, કલબ મેમ્બરશીપની સુવિધા, વોટર શો આકર્ષણ જમાવશે

જુનાગઢ  : તસ્વીરમાં ધ ફર્ન લીયો રીસોર્ટ એન્ડ કલબની માહિતી આપતા ગિરીશભાઇ કોટેચા સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) (૮.૪)

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૩ : ધ ફર્ન લીયો રીસોર્ટ એન્ડ કલબનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે પત્રકાર પરિષદમાં પૂર્વ ડે. મેયર અને રીસોર્ટના પ્રણેતા ગિરીશભાઇ કોટેચાએ જણાવેલ કે, નવનિર્મિત લીયો રીસોર્ટ-કલબ કોટેચા પરિવારનો ડ્રીમ પ્રોજેકટ છે. પોણા ચાર વર્ષની જહેમતના અંતે ૩.પ૦ લાખ ફૂટ એરિયામાં નવનિર્મિત ધ ફર્ન લીયો રીસોર્ટ એન્ડ કલબનું આવતીકાલ તા.ર૪ના રોજ બપોરના ૧ર.૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉદ્ઘાટન કરશે.

આ પ્રસંગે સંસ્કૃતમાં શ્લોક પઠન સાથે રીપોર્ટનું દિપ પ્રાગટય થશે.

શ્રી કોટેચાએ વધુમાં જણાવેલ કે, લીયો રીસોર્ટનો નિર્માણ માટે પ૦૦ માણસો અને ૩પ જેટલી એજન્સીઓનું યોગદાન રહેલ છે.

જુનાગઢવાસીઓનું વર્ષો જુનુ ગિરનાર રોપ-વેનું સ્વપ્ન અંતે સાકાર થઇ રહ્યું છે ત્યારે માત્ર જુનાગઢ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રોપ-વે શરૂ થયા બાદ જુનાગઢમાં દર વર્ષે ૪૦ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ આવશે અને જુનાગઢને સાચા અર્થમાં ટુરીઝમ હબ તરીકે સ્વીકારશે. અલગ અલગ શહેર, રાજય કે દેશમાંથી આવતા પ્રવાસીઓની તમામ પ્રકારની અપેક્ષાઓ સંતોષાય અને દરેક પરિવારને મનોરંજનની સાથે આરામદાયક અનુભૂતિ થાય તે માટે ભવનાથના રળીયામણ વાતાવરણમાં તમામ ભૌતિક સુખ સમૃધિનો અનુભવ કરાવતો અત્યંત આધુનિક રીપોર્ટ ધ ફર્ન લીયો રીસોર્ટ એન્ડ કલબનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ચોતરફ પર્વતમાળાઓથી ઘેરાયેલ ગિરનાર રોડ ઉપર તૈયાર થયેલ આ રીસોર્ટમાં ફાઇવ સ્ટાર કે સેવન સ્ટાર હોટેલમાં હોય તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

વિશાળ જગ્યામાં પથરાયેલ આ રીસોર્ટમાં સંપૂર્ણ એરકન્ડીશન્ડ ૧૦પ લકઝરીયસ રૂમ, ર બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ, રેસ્ટોરન્ટ અને ફોફી શોપ ઉપરાંત સ્વીમીંગ પુલ, જીમ, સ્પા સેન્ટર, ડીસ્કો થેક, ઇનડોર ગેમ ઝોન, બિલીયર્ડ હોલ, ટેબલ ટેનીસ અને કાર્ડરૂમ તેમજ સમૃધ્ધ પુસ્તકોથી ભરેલ પુસ્તકાલય સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

જુનાગઢ-સાસણ-સોમનાથ અને દિવની એક ટુરીઝમ સરકીટ જયારે તૈયાર થઇ રહી છે અને ભવિષ્યમાં ગિરનાર અભ્યારણ્યમાં સિંહદર્શન થશે ત્યારે પ્રવાસનના નકશામાં જુનાગઢ વિશ્વ કક્ષાએ ઝળહળતુ થશે. આ સ્થિતિમાં જુનાગઢમાં બહારથી આવતા પ્રવાસી પણ પોતાનો પ્રવાસ યાદગાર બને તે માટે આધુનિક સુખ-સગવડો સાથે પ્રવાસનો આનંદ મળે તેવી અપેક્ષા સાથે પોતાના પરિવાર સાથે જોડાશે. આ તમામ અપેક્ષાઓના સકારાત્મક પરિણામની ખાતરી આ રીસોર્ટ અને તેનું મેનેજમેન્ટ આપે છે.

આજે આર્થિક રીતે સમૃદ્ધ પરિવારમાં ડેસ્ટીનેશન મેરેજની પણ એક પ્રથા શરૂ થઇ છે, ત્યારે પર્વતમાળાઓના કુદરતી વાતાવરણમાં શાનદાર લગ્નસમારંભ, સત્કાર સમારંભ કે કોઇપણ શુભ પ્રસંગ યોજવા આ રીસોર્ટની પસંદગી યથાર્થ રહેશે તો કોર્પોરેટ જગતની ટોચની કંપનીઓને કોન્ફરન્સ માટે જરૂરી તમામ સુવિધા સાથે કોન્ફરન્સ હોલ, બેન્કવેટ હોલ અને રેસ્ટોરન્ટ એક જ રીસોર્ટમાં ઉપલબ્ધ બની રહેશે.

હોટલ મેનેજમેન્ટના અનુભવી અને સફળતાને જ જીવનમંત્ર બનાવનાર રીસોર્ટ પ્રમોટરના સીધા માર્ગદર્શન નીચે આ રીસોર્ટમાં વિનમ્ર સ્ટાફ, મેનેજમેન્ટ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને સલામતી-સુરક્ષાના તમામ કવચ સાથે ધ ફર્ન લીયો રીસોર્ટ એન્ડ કલબ માત્ર જુનાગઢ નહીં પણ ગુજરાતનું એક અદ્ભૂત સંભારણું બની રહેશે તે નિશ્ચિત છે.

લીયો રીસોર્ટ-કલબના મુખ્ય પ્રમોટર અને યુવા બિલ્ડર શ્રી વિપુલ કોટેચાએ જણાવેલ કે, પ્રવાસીઓના આકર્ષણ માટે અશ્વરધામની જેમ જે ગિરનાર દર્શન નામનો ૧પ મિનીટનો વોટર લેસર શો દર્શાવવાનું પણ આયોજન છે જેને પ્રવાસીઓ તેમજ જુનાગઢવાસીઓ કિફાયતી ટિકિટથી માણી શકશે. વોટર લેસર શોનો સમય સાજે ૭-૧પ અને રાત્રીના ૯-૧પ વાગ્યાનો રહેશે.

શ્રી વિપુલ કોટેચાએ ઉમેર્યું હતું કે, અમારા ડ્રીમ પ્રોજેકટમાં ફેમીલી કલબની સુવિધા પણ ઉપલબ્ધ છે. પતિ-પત્ની અને તેના બે બાળકો એમ એક મેમ્બર બની શકે તે પ્રમાણેની કલબ બનાવવામાં આવી છે.

કલબ હાઉસમાં પ્રથમ પ૦૦ મેમ્બર બનાવવાનો લક્ષ્યાંક છે ત્યાર બાદ બીજા વર્ષે પ૦૦ મેમ્બર બનાવવામાં આવશે. કલબની મેમ્બરશીપ હવે પછી જાહેર કરાશે.

આ તકે રીસોર્ટ માટે અત્યાધુનિક અને નયનરમ્ય ડિઝાઇન બનાવનાર યુએસ રીટર્ન શ્યામ કોટેચાએજણાવેલ કે, ઘણા બધા વ્યુવિચારીને રીસોર્ટની ડિઝાઇન કરવામાં આવ્યું છે. સંપૂર્ણપણે સ્પેશીયલ રીસોર્ટ છે. ખાસ કરીને સર્વન્ટ કે ગેસ્ટ સામસામે આવી ન શે તે પોઇન્ટ ઓફ વ્યુ છે. રીસોર્ટ માટે ઉપયોગમાં લેવાયેલ દરેક વસ્તુ મહેમાનને આકર્ષીત કરે તેવી છે.

શ્રી શ્યામ કોટેચાએ જણાવેલ કે, મહેમાનને રીસોર્ટમાં સંપૂર્ણ સનલાઇટ તે માટે પણ વિશેષ લક્ષ આપવામાં આવેલ છે. ફ્રન્ટમાં ૮ રૂમ અને બેક સાઇટમાં ૪ રૂમ છે. આગનના રૂમાંથી ગિરનાર દર્શન અને બેકમાં ઉપર કોટનો વ્યુ માણવા મળશે.

નોબલ કોલેજ ખાતે સતત ખડેપગે રહેતા પાર્થ ગિરીશભાઇ કોટેચાએ ધ ફર્ન લીયો રીસોર્ટ એન્ડ કલબના નિર્માણ માટે પણ યોગદાન આપ્યું છે.

શ્રી પાર્થ કોટેચાએ જણાવેલ કે, જયારે રીસોર્ટ શરૂ કરવાનું વિચાર્યું ત્યારે તબીબો, ઉદ્યોગપતિઓ, એડવોકેટો સહિત અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે પરામર્શ કરી અને તેમનો સુચનો મેળવવામાં આવેલ.

તેમણે વધુમાં જણાવેલ કે, રીસોર્ટના પ્રોજેકટને જીવનમંત્ર બનાવવામાં આવેલ જેમાં વિપુલભાઇ કોટેચા અને અમેરિકા રિટર્ન સીવીલ એન્જીનીયર શ્યામ ધીરૂભાઇ કોટેચાની સતત દોડધામને લઇને સમગ્ર પ્રોજેકટ પ્રવાસીઓ અને જુનાગઢવાસીઓ સમક્ષ મૂકવા માટે સરળ રહ્યા છીએ.

શ્રી પાર્થ કોટેચાએ જણાવેલ કે, લીયો રીસોર્ટ જેવું ઇન્ફ્રાસ્ટ્રકચર સૌરાષ્ટ્રમાં જોવા નહિ મળે  અમો બેસ્ટમાં બેસ્ટ હોસ્પિટાલીટી આપવાની પણ નેમ ધરાવીએ છીએ.

(11:45 am IST)