દ્વારકા જિલ્લામાં ગત મોસમમાં કોરોનાથી ડરીને નાસી ગયેલા મજૂરોનું પુનઃ આગમન!!
ખંભાળીયા તા. ર૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સીઝનમાં કોરોના મહામારીના ડરથી પરપ્રાંતિય મજૂરો જે હજારોની સંખ્યામાં ખંભાળિયા, કલ્યાણપુર, ભાટીયા, ભાણવડ, રાવલ તથા દ્વારકા તાલુકામાંથી ચાલ્યા ગયા હતા તેમનું ધીરેધીરે આગમન થયું છે.
ઓછા મજુરો ઉંચા ભાવો!!
ખંભાળિયા તાલુકાના કિશાન અગ્રણી મોહનભાઇ મોકરીયાએ જણાવેલ કે આ વખતે મજુરોની સંખ્યા ઓછી છે તથા ઓછો પુરવઠો વધુ ભાવના અર્થશાસ્ત્રના સિધ્ધાંતની જેમ જે મજુરોના રપ૦-૩૦૦ ભાવ હતા તે ૩પ૦ થી ૪૦૦ મગફળી વીણવાના લેવાય છે તેમાં પણ મળતા નથી તો મગફળી હલરમાં ૪૦૦ થી ૪પ૦ રૂ. હતા તે પણ આ વખતે ૭૦૦ રૂ. સુધી પહોંચી ગયા છે. જો કે દ્વારકા જિલ્લાના સ્થાનિક મજુરો પરપ્રાંતિય મજુરો જેટલું કામ ના કરી શકતા હોય વધુ ભાવ છતાં આ મજુરોને લેવામાં આવે છે તો ઓછા મજુરો હોય મજુરો પણ જયાં વધુ ભાવ મળે ત્યાં જાય છે તો ઓછા ભાવમાં થોડાજ સમય કામ કરે છે તો હવે મજુરોને રોજ ઉપરાંત ભોજન બળતણ રહેઠાણ ચા જેવી વસ્તુઓ પણ આપવી ફરજિયાત થવા માંડી છે.
સ્થાનિક મજુરોની પણ માંગ વધી
સ્થાનિક મજુરોની પણ હાલ માંગ વધી છે જોકે સવારના સાડા આઠ નવ વાગ્યાથી સાંજે ૬ સુધી આવતા મજુરોને તેડવા મુકવા બે સમય ચા તથા રોકડું રોજ આપવું પડે છે તો કેટલાક મજુરો રીક્ષા છકડો ચલાવીને મજુરો તેડવા મુકવાની સાથે પોતે પણ મજુરીએ લાગી જાય છે.