ભારે પવનથી જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં કેસર કેરીના પાકને માઠી અસર
માવઠાથી રસ્તા બન્યા લસરપટ્ટી-અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩ : જૂનાગઢ શહેરમાં ગઇ કાલે પડેલા ધોધમાર વરસાદથી શહેરીજનો વેપારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા.
બુધવારના વરસાદને લઇ શહેરમાં દિવાનચોક તરફથી ઢાળમાં થઇ ધસમસતુ પાણી આવતા અનેક વાહન ચાલકો સ્લીપ થયા હતા. અને પંચહાટડે ચોક નજીક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.
મુસીબતમના માવઠાથી તળાવ દરવાજા, વૈભવ ચોક, સ્ટેશન દરવાજા સહિતના વિસ્તારો નદીમાં ફેરવાય ગયા હતા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બની ગયું હતું.
અક્ષર મંદિરની મધુરમ સહિતના રસ્તાને ભુગર્ભ ગટર અને ગેસની પાઇપ લાઇન નાખવાના કામ દરમ્યાન તોડવામાં આવેલા માર્ગોનું મરામત કરવામાં નહિ આવતા ગઇ કાલે પડેલા ત્યારે વરસાદ દરમ્યાન રોડ ચીકણી માટીના કારણે લસરપટ્ટી જેવા બની ગયા હતા. અને વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી હતી. ભવનાથ તળેટી અને ગિરનાર વિસ્તારમાં પણ ભારે પવન સાથે એક ઇંચ જેટલો કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે તળેટીમાં કેસર કેરીના પાકને માઠી અસર થઇ હતી.