મોરબીના ભરવાડપરામાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું: 12 શકુનીઓસહિત નાળ ખેંચનારને ઝડપી લેવાયા
12 શકુનીઓ સહિત કુલ 1,41,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે
મોરબીના વાંકાનેરથી જુગારધામ ઝડપાયું છે. જેમાં પોલીસે 12 લોકોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા લોકોમાં જુગાર રમાડનાર અને જુગાર રમનાર શકુનીઓનો સમાવેશ થાય છે
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના વાંકાનેર શહેરમાં પોલીસે ઘોડી-પાસાના જુગારધામ પર રેડ પાડી 12 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે શહેરના ભરવાડપરામાં ધમધમી રહેલા જુગારધામ પર રેડ પાડી 12 શકુનીઓ સહિત કુલ 1,41,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર શહેર પોલીસને બાતમી મળી હતી કે, શહેરના ભરવાડપરામાં એક રહેણાંક મકાનમાં ત્રણ વ્યક્તિઓ દ્વારા ધમધોકાર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે. આ લોકો નાળ ખેંચી જુગારધામનો અડ્ડો ચલાવી કમાણી કરી રહ્યા છે. આ મામલે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા, નાસ-ભાગ મચી ગઈ હતી. પરંતુ, પોલીસ પણ તૈયારી સાથે ગઈ હતી, જેને પગલે 12 શકુનીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ભરવાડપરા વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડી ૯૨,૮૦૦ રૂપિયા રોકડા અને ૧૧ મોબાઈલ કિંમત રૂપિયા ૪૯,૦૦૦મળી કુલ ૧,૪૧,૮૦૦ ના મુદામાલ સાથે 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ જુગારધામ મનોજ ઉર્ફે નદી ટમારીયા ,લાલો દિનેશભાઈ લામકા અને સામજી ઉર્ફે ભીખો ફિસરિયા સહિતના ત્રણ લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું, દરેક તીન પત્તીના દાવ હેઠળ નાળ ખેંચી કમાણી કરી રહ્યા હતા. પોલીસે તમામની અચકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.