હળવદના ધણાદ ગામે વાડીએ રખોપુ કરવા ગયેલા યુવાનની હત્યા
રાત્રીના સમયે યુવાનની નિંદ્રાધીન સ્થિતિમાં જ હત્યા કરાયાની આશંકા
હળવદ તાલુકાના ધણાદ ગામે વાડીએ વાવેલા ઉનાળુ તલનું રખોપુ કરવા ગયેલા યુવાનની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ ટીમ ધણાદ વાડી વિસ્તારમાં દોડી ગઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઈ ઠાકોર ઉ.24 નામના યુવાનને ધણાદ રણમલપુર રોડ ઉપર વાડી આવેલી છે અને આ વાડીમાં હાલમાં ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય તેવો રોજ રાત્રીના વાડીએ રખોપુ (ટોવા) કરવા જતા હતા. ગઈકાલે રાત્રે પણ નિત્યક્રમ મુજબ વાડીએ ગયા હતા જ્યાં કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
હત્યાના આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને રાજુભાઇ ઠાકોરની હત્યાના બનાવના રહસ્ય મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે