મોરબી ભણવા બાબતે ઠપકો આપતા બોર્ડના વિદ્યાર્થીએ જીવાદોરી ટૂંકાવી.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોકજીવન સોસાયટીમાં બનેલી ઘટનાથી અરેરાટી
મોરબી : કોરોના મહામારીમાં ઓનલાઇન ભણતરે વિદ્યાર્થીઓના ટાઈમ ટેબલ ખોરવી નાખ્યા છે ત્યારે હવે સ્કૂલો ઓફલાઈન શરૂ થતા ભણતરનો ભાર સહન કરી નહીં શકતા વિદ્યાર્થીઓ હતાશામાં આંત્યતિક પગલું ભરી રહ્યા છે. ગઇકાલે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોકજીવન સોસાયટીમાં રહેતા તરુંણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તરુણ ધો.૧૦ માં ભણતો હોય અને ભણવામાં ધ્યાન ન આપતા પરિવારજનોએ ભણવા બાબતે ઠપકો આપતા તેણે મોતને વ્હાલું કરી લીધાનું બહાર આવ્યું છે.
મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોકજીવન પાર્ક શેરી નંબર-૧ માં રહેતો સયાન રજાકભાઈ વડાવરિયા (ઉ.વ.૧૬) નામના સગીરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આથી તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એ ડિવિઝન પોલીસ મથકના વી.પી. છાસિયાએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે, મૃતક સગીર ધો.૧૦ માં અભ્યાસ કરતો હતો. પરંતુ આ કારકિર્દી માટે આ બોર્ડની પરીક્ષા ખૂબ જ મહત્વની હોવા છતાં મૃતક સગીર ભણવામાં ધ્યાન આપવાને બદલે મિત્રો સાથે રખડતો હતો. આથી તેના પરિવારજનોએ ભણવામાં ધ્યાન આપવાનો ઠપકો આપ્યો હતો. આ બાબતે લાગી આવતા સગીરે અંતિમ પગલું ભરી લીધું હતું.