ઉનાઃ ગણપતિ મૂર્તિ વિસર્જન કરતા ડૂબી જવાથી મૃત્યુ થયેલ યુવાનના ૪ બાળકો-પત્ની નોધારા
(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૧ :.. તાલુકાના ખાપટમાં ગણપતી મૂર્તિ વિસર્જન કરવા ગયેલ જયંતીભાઇ મોહનભાઇ મજીઠીયા (ઉ.૩પ) નું ડૂબી જવાથી મૃત્યુ થતા તેના ૪ બાળકો અને પત્ની નોંધારા બની ગયા છે મરનાર જયંતીભાઇ સાથે અન્ય ર યુવાનો પણ ડૂબ્યા હતાં અને તે બન્નેનો બચાવ થયેલ છે જેમાં એક યુવાનની હાલત ગંભીર હોય સારવારમાં છે.
ઉના તાલુકાનાં ખાપટ ગામનાં જેન્તીભાઇ મોહનભાઇ મજીઠીયા ઉ.૩પ, કિરણભાઇ બોઘાભાઇ ચુડાસમા ઉ.ર૦, રોહીત મનુભાઇ મકવાણા ઉ.૧૮, ગણપતિજીની મુર્તીને વિર્સજન કરવા ખાપટ ગામેથી ગીરગઢડા તાલુકાનાં દ્રોણેશ્વર મહાદેવનાં મંદિર પાસે મછુન્દ્રી નદીમાં મૂર્તિ વિર્સજન કરવા ગયેલ હતા નદીનું પાણી ઉંડુ ત્થા પ્રવાહ તે જ હતો તેથી ૩ યુવાનો ડુબવા લાગતાં આજુબાજુનાં તરવૈયા લોકોએ તેમને બચાવવા નદીમાં ઝંપલાવેલ અને કિરણભાઇ ચુડાસમા, રોહીત મકવાણાને બહાર કાઢી જીવ બચાવી લીધો હતો પરંતુ જેન્તીભાઇ મોહનભાઇ ઉંડા પાણીમાં ડૂબી જતા મહા મહેનતે શોધી કાઢેલ હતો.
તેમને ઉના દવાખાને લાવતા તેને ડોકટરે પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું જાહેર કરેલ હતું.
મરનાર જેન્તીભાઇને પરિવારમાં પત્ની ૪ સંતાનો કરણ ઉ.૯, માનવ ઉ.૭, અવનીબેન ઉ.૪, પ્રિન્સબેન ઉ.૭ મહિના એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર ઉપર આભ તુટી પડેલ છે. ખાપટ ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયેલ. કિરણભાઇ બોઘાભાઇ ચુડાસમાની હાલ ગંભીર હોય ખાનગી દવાખાને સારવાર માટે ખસેડેલ છે.