દ્વારકા જગત મંદિરનું શિખર કાયમ લાઇટીંગથી ઝળહળી ઉઠશે
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સર્વેની કામગીરી
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૨૧: દેશ પ્રમુખ તિર્થ સ્થળ દ્વારકા યાત્રાધામના એકસો પચાસ ફુટની ઉંચાઇ સાથેના સાત માળને લાઇટીંગ ડેકોરેશનથી સુશોભીત કરવાની પ્રથમ તબકકાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પ્રવાસન વિભાગના સુત્રોએ જણાવ્યું છે.
ગુજરાત પ્રવાસન વિભાગએ સોમનાથ, અને અંબાજીમાં લાઇટીંગ અને સાઉન્ડ ડેકોરેશનની કામગીરી પુર્ણ કરી હવે દ્વારકાના જગત મંદિરને પણ લાઇટીંગ ડેકોરેશન થી સુશોભીત કરવા જઇ રહી છે. ત્યારે દેશ- વિદેશના પ્રવાસી યાત્રીકો પાંચ હજાર વર્ષ પુરાણા દ્વારકાધીશ મંદિરની પૌરાણિકતા અને શિલ્પ કલાના અદ્યતન લાઇટીંગ ડેકોરેશન થી મંદિરની ભવ્યતાના પણ જીવંત દર્શન કરી શકશે.
ગુજરાત પ્રવાસન વિભાગના એમ. ડી. આલોક પાંડેના માર્ગદર્શન હેઠળ ગુજરાતના દર્શનીય અને પ્રવાસન સ્થળોની સુંદરતા અને જાળવણી માટે ખૂબ જ ઝીણવટ ભરી રીતે વિકાસ કાર્યો શરૂ થયા છે.
ટૂંક સમયમાં માધવપુરની પ્રાચીનતા જાળવી રાખવા અને સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રથમ તબકકાની રૂપીયા દોઢસો કરોડની વિકાસ યોજના જાહેર થનાર છે.