સુરેન્દ્રનગરના સડલા ગામના આધેડની અપહરણ બાદ હત્યા:આરોપીઓએ લાશ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ફેંકી
પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે રાત્રિના સમયે તેના પિતાનું સડલા ગામેથી અપહરણ કરાયું
સુરેન્દ્રનગરના સડલાના એક આધેડની હત્યાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારે એક જ દિવસમાં હત્યાના બે બનાવો બન્યા છે. સડલાના આઘેડ વ્યક્તિના અપહરણ બાદ તેમની હત્યા કરાઇ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આધેડની હત્યા કરનારા હત્યારાઓ તેમના મૃતદેહને સુરેન્દ્રનગરની મૂળી હોસ્પિટલમાં ફેંકીને ફરાર થઇ ગયા હતા. એક જ દિવસમાં હત્યાના બે બનાવથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે.
આ અંગેની જે પ્રાથમિક વિગતો સામે આવી છે તે પ્રમાણે આ મામલો પ્રેમ પ્રકરણ સંબંધિત છે. પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે રાત્રિના સમયે તેના પિતાનું સડલા ગામેથી અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓ સ્વીફ્ટ કારમાં આવ્યા હતા અને આધેડનું અપહરણ કરી ગયા હતા. ત્યારબાદ આજે આરોપીઓ દ્વારા આધેડની લાશ મૂળી સરકારી હસ્પિટલના કમ્પાઉન્ડમાં ફેંકવામાં આવી છે. ઘટનાની જાણ પોલીસને થતા કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. સાથે જ મૃતદેહને પીએમ માટે મોકલવાની તૈયારી કરી હતી.