સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th August 2022

ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના ૧૫ વર્ષ ૧૦૮ સેવાએ છેલ્લાં ૧૫ વર્ષ દરમિયાન ૧.૩૬ કરોડ લોકોને કટોકટી સમયમાં મદદરૂપ બની તેમની જીવન દોર લંબાવી

ભાવનગર ના પાલીતાણા ખાતે ૧૦૮ કેન્દ્રની મુલાકાત લેતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આજે ભાવનગર ૧૦૮ ની ટીમની પાલીતાણા ખાતે મુલાકાત લીધી હતી.
 
આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ૧૦૮ ના ટીમના સભ્યો સાથે વાર્તાલાપ કરીને ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા માતાઓની સંભાળ અને નવજાત શિશુ અંગેના કાર્યની નોંધ લીધી હતી અને ૧૦૮ ની ટીમના કાર્યની પ્રશંસા કરી હતી.
 
આ સાથે તેમણે જણાવ્યુ હતું કે, ભાવનગર જિલ્લામાં ૧૦૮ ટીમ દ્વારા અનેકવાર એમ્બ્યુલન્સ જ પ્રસૂતિ કરવામાં આવે છે એ સમાચાર મળે એટલે મને દિલ્હીમાં ગૌરવ અનુભૂતિ થાય છે અને અન્ય રાજ્યોમાં તે અંગેના હું દ્રષ્ટાંત સાથેના ઉદાહરણો ટાંકું છું.
 
૧૦૮ ની ટીમ કોઈપણ અપત્કાલિન પરિસ્થિતિમાં સર્વોત્તમ કામગીરી કરતી આવી છે અને વાવાઝોડાની પરિસ્થિતિમાં પણ ૧૦૮ સેવાનું ઉત્તમ પ્રદાન રહ્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
 
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે,  દેશમાં ૭૫ માં 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણી થઈ રહી છે ત્યારે ૧૦૮ સેવાને પણ આજે ૧૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે તેનો આનંદ છે. 
 
ગુજરાતના પોતાનાં પુત્ર અને માનનીય વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે  શરૂ કરવામાં આવેલી ૧૦૮ સેવાએ છેલ્લાં ૧૫ વર્ષ દરમિયાન ૧.૩૬ કરોડ લોકોને કટોકટી સમયમાં છેવાડાના નાગરિકો મદદરૂપ બની છે.
 
લોકોપ્રિયતા, વિશ્વસનિયતા, કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી મળતો અભૂતપૂર્વ પ્રતિસાદ વચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને છે. 
 
તેમણે જણાવ્યું હતું કે, ૧૫ વર્ષ પહેલાં આ પહેલ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા કરવામાં આવી હતી. જે આજે રાજ્યમાં વટવૃક્ષ બનીને  ૮૦૦ થી વધારે એમ્બ્યુલન્સ સેવા લોકોની સેવામાં સમર્પિત છે. જે રોજ ૩,૦૦૦ થી વધારે દર્દીઓને સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જે અનેક લોકોને નવજીવન આપે છે.
 
જે શહેરી વિસ્તારોમાં ૧૧ મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ૨૦ મિનિટમાં પ્રતિસાદ આપે છે. સાથે જ મુખ્યમંત્રી   ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ભારતમાં પ્રથમવાર ૧૦૮ એર એમ્બ્યુલન્સ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
 
ગુજરાત ૧૦૮ સેવાના અત્યાધુનિક ૨૪ કલાક કાર્યરત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની કુલ ૩૬,૦૦૦ થી વધારે દેશ અને વિદેશીના નિષ્ણાતો દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે તે તેનું મહત્વ પ્રદર્શિત કરે છે.
 
આ રીતે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૫ વર્ષ પહેલાં ગુજરાતના સામાન્ય નાગરિકો માટે દીર્ઘદષ્ટિને કારણે આજે ૧૦૮ સેવા ગુજરાતની સંજીવની બનીને ઉભરી આવી છે.

 

(5:53 pm IST)