સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th August 2022

પવન ગમે તે દિશાનો હોય દ્વારકા મંદિરની ધજા હંમેશા પશ્ચિમથી પર્વ તરફ લહેરાય છે

દ્વારકાધીશના મંદિર પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે, કેમ કે આ ધજા નાનકડી નહીં પણ પૂરા 52 ગજની હોય છે

અમદાવાદઃ 19 ઓગસ્ટે સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી મનાવવા આવશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ તહેવારની જોશભેર ઉજવણી થાય છે. ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ચાર ધામોમાંથી એક છે. ત્યારે જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારકા મંદિર સંબંધિત કેટલીક રોચક વાતો જાણીએ. ગુજરાતનું દ્વારકા સુપ્રસિદ્ધ મંદિર હિંદુઓનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં ભગવાન દ્વારકાધીશની પૂજા થાય છે. જેનો અર્થ થાય છે દ્વારકાના રાજા. દ્વાપર યુગમાં દ્વારકાના ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધ્વજા પૂજનનુ ખાસ મહત્વ છે.
હિંદુ ધર્મમાં જે ચારધામની યાત્રાનું મહત્વ છે, તેમાંથી એક એટલે દ્વારકા અને અહીં આવેલું છે દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર. આ એ જ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ધજાની કેટલીક ખાસિયતો છે. ધજાની કેટલીક ખાસિયતો એ છે કે પવન ગમે તે દિશાનો હોય આ ધજા હંમેશા પશ્ચિમથી પર્વ તરફ લહેરાય છે. ચલો જાણીએ આવી જ બીજી રોચક વાત..
દ્વારકાધીશના મંદિર પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. કેમ કે આ ધજા નાનકડી નહીં પણ પૂરા 52 ગજની હોય છે. હવે આટલી મોટી ધજા શા માટે છે? તેની પાછળ પણ એક દંતકથા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું. દરેકના પોતના મહેલ હતા અને તેના પર પોતાની નિશાનીરૂપ ધજા હતી. જ્યારે તેમાના મુખ્ય શ્રીકૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાન હોવાના કારણે તેમના મંદિરો બનાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના 52 પ્રકારના યાદવોના પ્રતિક રૂપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે. તો આ જ રીતે મંદિરમાં પ્રવેશ માટે ગોમતી નદીના મંદિરની સામેથી 56 પગથિયાની સીડી બનાવવામાં આવી છે.
શા માટે સતરંગી ધજા
मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गम् । .. पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् ॥ આ શ્ર્લોકનો અર્થ થાય છે. મેઘ સમાન રંગવાળા, પીળુ રેશમી પિતામ્બર ધારણ કરવાવાળા, શ્રીવત્સ ચિન્હવાલા, કૌસ્તુભ મણીથી સુશોભિત, પુણ્ય કરવાવાળા, કમળ સમાન આંખોવાળા સર્વલોકના એકમાત્ર સ્વામી ભગવાન શ્રીકૃષ્ણને નમન કરું છું. આમ ભગવાનનો રંગે મેઘ સમાન હોવાથી તેમની ધજા મેઘધનૂષ સમાન સપ્તરંગી હોય છે.
પશ્ચિમથી પૂર્વ દિશામાં લહેરાય છે મંદિરનો ધ્વજ
મંદિરમાં લાગેલી દરેક ધ્વજાના રંગનું પોતાનું અલગ મહત્વ છે. લાલ રંગ ઉત્સાહ, સ્ફૂર્તિ, પરાક્રમ, ધનધાન્ય, વિપુલ સંપત્તિ, સમૃદ્ધિનું પ્રતિક છે. લીલો રંગ આધ્યાત્મિક પ્રેરણાનું પ્રતિક ગણાય છે. આ સાથે જ મનુષ્યની સુખ શાંતિ અને આંખોની જ્યોતિ વધારનારો છે.
ધજા પર સૂર્ય અને ચંદ્ર
મંદિર ઉપર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક ચિન્હો છે, જેનો અર્થ એવો કરવામાં આવે છે કે જ્યાં સૂધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે. તેમજ સૂર્ય અને ચંદ્ર બને શ્રીકૃષ્ણના પણ પ્રતિક છે.
દિવસમાં ત્રણવાર બદલાય છે ધજા
દ્વારકાધીશ મંદિર પર દિવસમાં ત્રણ વાર ધજા બદલવામાં આવે છે. સવારે, બપોરે અને સાંજે. અહીં મંદિર પર ધજા ચઢાવવા-ઉતારવા અને દક્ષિણાનો અધિકાર અબોટી જ્ઞાતિના બ્રાહ્મણોને છે. જોકે, દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચઢાવવામાં આવે છે. જોકે આ તમામ ધજામાં સાત અલગ અલગ રંગ હોય છે.
દ્વારકાધીશની ધજાનો મતલબ
લાલ રંગઃ ઉત્સાહ, સ્ફૂર્તિ, ધનધાન્ય અને વિપુલ સંપત્તિનો પ્રતિક છે.
લીલો રંગઃ આધ્યાત્મિક પ્રેરણાનો પ્રતિક મનાય છે. તે શાંતિ અને શિતળતા દેવાવાળો છે.
પીળો રંગઃ આ રંગને શાણપણ, માન્યતા, અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
વાદળી રંગઃ બળ અને પૌરુષનું પ્રતીક ગણવામાં આવે છે.
સફેદ રંગઃ શુદ્ધતા, શુદ્ધતા અને શિક્ષણનું પ્રતીક ગણાય છે.
કેસરીયો રંગઃ હિંમત, નિર્ભયતા અને પ્રગતિની નિશાની ગણવામાં આવે છે.
ગુલાબી રંગઃ માનવની પ્રકૃતિ દર્શાવે છે, જે નરમ અને આકર્ષક છે, તે કાંટા ઉપર પણ સ્મિત કરે છે. મનુષ્યો પણ આના જેવું હોવા જોઈએ.

 

(11:15 am IST)