જસદણમાં મુકતાનંદબાપુ ના ૬૪માં પ્રાગટય દિને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, ૮૫ બોટલ રકત એકત્ર
જસદણ : મુલ્ય નિષ્ઠ માનવ સમાજના ઉત્કર્ષ અને સામાજિક ક્રાંતિના પ્રણેતા અખિલ ભારત સંત-સાધુ સમાજના પ્રમુખ તેમજ પંચ અગ્નિ અખાડા ભારતના સામાપતિ તથા બ્રહ્માનંદધામ-ચાપરડાના પ.પૂ.મુકતાનંદબાપુના ૬૪માં પૂનિત પ્રાગટ્ય દિને જસદણ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીરાજગોર બ્રાહ્મણ સમાજની વાડી ખાતે સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી યોજાયો હતો. આ કેમ્પમાં ૮૫ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ તકે જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજના કર્મઠ સેવાભાવી આગેવાન વિનુભાઈ ચાંવ, અશોકભાઈ ચાંવ, જેન્તીભાઈ જોશી, સુરેશભાઈ જોશી, રસિકભાઈ મહેતા, પરેશભાઈ જોશી, પંકજભાઈ રવિયા, સુરેશભાઇ જોશી જસદણ સોમનાથ ગ્રુપના સદસ્યો તેમજ જસદણની વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન સ્થળે રક્તદાતાઓ માટે વોટરકુલર, પંખા, પાણીના ફુવારા સાથે વિશાળ મંડપની સગવડતા અને રકતદાતાઓને પૌષ્ટિક નાસ્તો, સરબત, સ્મૃતિભેટ અને સન્માનપત્રો આપવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા આસ્તીકભાઈ મહેતા, ભરતભાઈ ભરાડ, ભાવેશભાઈ ઉર્ફે દકાભાઈ તેરૈયા અને કિશનભાઈ સહિતના સેવાભાવીઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલ : નરેશ ચોહલીયા-જસદણ)