સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

હળવદ હિબકે ચડ્યું : એક સાથે 9 લોકોની અર્થી ઉઠી:સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

મોરબી : આજે આખું હળવદ હિબકે ચડ્યું છે. કારણકે હળવદમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટના બાદ રાત્રે એકસાથે 9 લોકોની અર્થી ઉઠી હતી. આ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં આજે અચાનક મસમોટી દીવાલ ઘસી પડતા ત્યાં મજૂરી કરતા શ્રમિકો દટાઈ ગયા હતા અને 12 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા ભારે અરેરાટી મચી ગઇ છે. આ દુર્ઘટનાથી સમગ્ર હળવદ પંથક હચમચી ઉઠ્યું છે અને હળવદ પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે.
ગોઝારી ઘટના બાદ રાત્રે મકવાણા રાજેશભાઈ જેતામભાઈ (ઉ.વ. 39) , કોળી શીતલબેન દિલીપભાઈ (ઉ.વ. 24), કોળી દીપક દિલીપભાઈ (ઉ.વ. 03), કોળી દક્ષા રમેશભાઈ (ઉ.વ. 15), કોળી દિલીપભાઈ રમેશભાઈ (ઉ.વ. 26), કોળી રમેશભાઈ મેપાભાઈ (ઉ.વ. 42), કોળી શ્યામ રમેશભાઈ (ઉ.વ. 13)ની સ્મશાન યાત્રા નીકળી હતી.
આ સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથોસાથ મોરબી પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ અને ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ આ સ્મશાન યાત્રામાં સામેલ થયા.

(12:07 pm IST)