ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝાના કર્મચારીને વાહનચાલકે મારમારી દાદાગીરી કરી હોવાનો વિડીયો વાયરલ થયો
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૯: ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરુડી ટોલ પ્લાઝા એ છાશવારે વાહનચાલકો અને પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે ઝગડાઓ સર્જાતા હોય જેમાં ગત તારીખ ૧૪ ના રાત્રે એક સ્કોર્પિયો જેવા વાહનના ચાલકે લેન ૮ ના પ્લાઝાના કર્મચારીઓ ને મારી દાદાગીરી કરી હોવાનો વિડીયો વાયરલ થતા ટોલ પ્લાઝા ફરી ચર્ચાના ચકડોળે ચડયું છે.
ભરુડી ટોલ પ્લાઝા એ વાહનચાલકો અને પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે ટોલટેકસ ને લઇ અનેકવાર માથાકૂટ અને મારામારી સર્જાતી હોય છે પોલીસ ફરિયાદ પણ થતી હોય છે અલબત્ત તારીખ ૧૪ની રાત્રે બનેલી મારામારીની ઘટનામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી આ પહેલા રાજયના મંત્રી જયેશભાઇ રાદડીયાને પણ ભરુડી ટોલ પ્લાઝા એ કર્મચારીઓ સાથે બોલાચાલી થવા પામી હતી જયેશભાઈએ વાહનોની લાંબી કતારો લાગી હોય ઝડપથી ટ્રાફિક કિલયર કરાવી પ્લાઝાના અધિકારીઓને ઉધડો લીધો હતો.
આ તકે ઘણા વાહનચાલકો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે પ્લાઝા એ રિટર્ન ટિકિટ આપવામાં આવતી નથી અને કેટલાક કર્મચારીઓ દ્વારા તોછડુ વર્તન કરાય છે પ્લાઝાની ઓફિસમાં પીવાના પાણી સહિત પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ પણ હોતી નથી અને વોશરૂમમાં સ્વચ્છતાનો અભાવ હોય છે.