ગણેશ મહોત્સવ અંતિમ ચરણમાં : કાલે અનેક જગ્યાએ વિસર્જન
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવિકો ભારે હૃદયે ગણેશજીની મુર્તિઓને વિદાય આપશે
રાજકોટ,તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ હવે આ મહોત્સવ અંતિમ ચરણમાં છે. કાલે રવિવારે અનેક જગ્યાએ ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. કાલે ભાવિકો ભારે હૃદયે ગણેશજીની મુર્તિઓને વિદાય આપશે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી : હાલ ગણેશ મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને તા. ૧૯ ને રવિવારના રોજ ગણેશ વિસર્જન કરવાનું હોય જે નિમિતે પાલિકા તંત્રએ ચાર સ્થળોએ મૂર્તિ કલેક્શન સેન્ટર બનાવવાનું આયોજન કર્યું છે
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ માહિતી આપતા જણાવ્યું છે કે તા. ૧૯ ના રોજ મોરબી શહેરમાં ગણેશ વિસર્જન નિમિતે શહેરના સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગણેશજીની મૂર્તિઓનું કલેક્શન સેન્ટર રાખવામાં આવશે ત્યાંથી પાલિકાની ટીમ વિસર્જન સ્થળ આરટીઓ ઓફીસ પાસે જઈને વિસર્જન કરશે વિસર્જન માટે જરૂરી માણસો, વાહનો અને તરવૈયાઓની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે જેથી મોરબી નગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોએ કલેક્શન સેન્ટર ખાતે મૂર્તિઓ આપવા ચીફ ઓફિસરે જણાવ્યું છે.