ગોંડલમાં હિન્દુ ઉત્સવ સમિતી દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રાની તડામાર તૈયારીઓઃ હાથી,ઘોડા સાથે ૪૫ ફલોટ જોડાશે
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૮: જન્માષ્ટમી નિમીતે ગોંડલમાં પ્રતિ વર્ષ યોજાતી શોભાયાત્રાનુ આયોજન કોરોનાને કારણે બે વર્ષથી બંધ હોય આ વર્ષ અનેરા ઉત્સાહ સાથે હિન્દુ ઉત્સવ સમિતી દ્વારા શોભાયાત્રાનુ ભવ્યાતી આયોજન કરાયુ છે.
હિન્દુ ઉત્સવ સમિતીના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાએ જણાવ્યુ કે ગોકુલ અષ્ટમીના શોભાયાત્રા પરંપરાગત રીતે શહેરમા ફરશે.શોભાયાત્રામા ધાર્મિક, દેશભક્તી તથા સાંસ્કૃતિને ઉજાગર કરતા ૪૫ ફલોટસ જોડાશે ઉપરાંત રાસ મંડળી, ભજન મંડળીઓ પણ જોડાનાર છે.ભગવતપરા પટેલવાડી થી શોભાયાત્રા પ્રસ્થાન થઈ મોટાપુલ, માંડવીચોક, નાનીબજાર, ઉદ્યોગભારતી ચોક, ભોજરાજપરા, મોટીબજાર થઈ વેરી દરવાજા હવેલી એ પૂર્ણ થશે. શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,આરએસએસ, શહેરની સામાજીક, ધાર્મિક સંસ્થાઓ, સ્વામિનારાયણ મંદિરના સંતો,મહંતો,આગેવાનો સહિત નગરજનો જોડાશે. જન્માષ્ટમી શોભાયાત્રાને લઈને શહેરભરમાં જબરો માહોલ છવાયો છે.