૧ થી પ ધોરણમાં ડ્રોપ આઉટ રેશીયો શૂન્ય થયોઃ દ્વારકા જિલ્લાના પ્રાથમિક વિભાગની અનોખી સિદ્ધિ
ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઇ હરીભાઇ નકુમ તથા તેમની ટીમ દ્વારા કોરોના સમયમાં જિલ્લામાં ડ્રોપ આઉટ રેશીયો ધો. ૧ થી ૮ માં વધી ગયો હતો જેને કંટ્રોલ કરવામાં રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી છે.
જિ. શિ. શ્રી વાઢેર દ્વારા દરેક ગામની શાળાના આચાર્ય તથા શિક્ષકને દરેક વાલીઓના ઘેર ઘેર રૂબરૂ મોકલીને અભ્યાસ કરવા માટે સમજાવતા સમગ્ર જિલ્લામાં ધો. ૧ થી પ માં ૧૦૦% વિદ્યાર્થીઓ શાળામાં નામાંકન કર્યું છે તથા ડ્રોપ આઉટ રેશીયો શૂન્ય થયો છે જે રાજયકક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી છે તો ૬ થી ૮ માં અગાઉ જે ડ્રોપ આઉટ રેશીયો ૧ર નો હતો તેમાં પણ પ૦% એટલે કે ૬ ટકા જેટલો જ રહ્યો છે. આ પણ વિશીષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.
મેવાસા શાળામાં શૈક્ષણિક
કાર્યક્રમ યોજાઇ ગયો
મેવાસા પ્રાથમિક શાળામાં ભારતીય ખાણ બ્યુરો, ગાંધીનગર (IBM) ના માર્ગદર્શન હેઠળ ‘‘આઝાદીના અમૃત મહોત્સવ''ની ઉજવણી કરવાના ભાગ રૂપે એમ.એસ. રાઠોડના નેતૃત્વમાં ઓરીએન્ટ એબ્રેસિવ્સ લી.ના હેડ માઇન્સ ગુણાનંદ રોયના માર્ગદર્શન હેઠળ માઇન્સ મેનેજર જયદીપ પરડવા તથા બોમ્બે મિનરલ્સ લી.ના હેડ માઇન્સ કે. કે. ચૌધરીની ઉપસ્થિતિમાં શાળાના ૧પ૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી રૂપે સ્કૂલબેગ તથા કંપાસ બોકસનું વિતરણ કરવામાં આવ્યું તથા જયદીપ પરડવા એ સરદાર વલ્લભભાઇ પટેલના બારડોલી સત્યાગ્રહ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા તથા બોમ્બે મિનરલ્સ લી. દ્વારા શાળામાં ર કોમ્પ્યુટર સેટ ભેંટ આપવામાં આવી. આ પ્રસંગે મેવાસા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તલાટીશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહેલ. સંચાલન ડો. રીઝવાનાબેન મુન્દ્રા દ્વારા કરવામાં આવેલ તથા શાળાના આચાર્યશ્રી વિશાલ રાવલે સંબોધન કરેલ.
શ્રેષ્ઠ શિક્ષણ અંગે
મિટીંગ યોજાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરની અધ્યક્ષતામાં ખંભાળિયા ખાતે જિલ્લાના શિક્ષકદિન સંદર્ભમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવા માટે ખાસ કમીટીનું આયોજન થયું હતું.
ખંભાળિયા જી.વી.જે. હાઇસ્કૂલ ખાતે મીટીંગ યોજાઇ હતી જેમાં જિલ્લાના પ્રાથમિક તથા માધ્યમિક વિભાગમાં તાલુકા, જિલ્લા તથા રાજય એમ ત્રણેય કક્ષામાં વિવિધ વિભાગોમાં આવેલ અરજીઓ સંદર્ભમાં ખાસ ટીમો બનાવીને દરેક અરજદારોની શાળા એ મુલાકાત લઇને તેમની સિધ્ધિઓ તથા કામગીરી અંગે ચેકીંગ કરીને મૂલ્યાંકન કરવા આયોજન કરાયું હતું. જેમાં નિરીક્ષકોમાં પંકજસિંહ રાણા, શંકરસિંહ બાટીયા, રામદેભાઇ ગોઝીયા વિ. જોડાયા હતા. તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાંથી શ્રી ચીકાણી જોડાયા હતા.
જિલ્લાની કમિટીના કન્વીનર તરીકે શિક્ષણકાર હિતેન્દ્રભાઇ આચાર્યની નિયુકિત કરવામાં આવેલી આ કામગીરીમાં એજયુકેશનલ ઇન્સપેકટર વિમલભાઇ કિરમસાતા પણ જોડાયા હતા.