સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

શુક્રવારે માંગરોળનાં રહીજમાં શહિદ જવાન વિક્રમસિંહ ચુડાસમાની પુણ્‍યતિથીએ લોકડાયરો : ત્રિરંગા યાત્રા-સ્‍મારક અનાવરણ વિધી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬: માંગરોળ તાલુકાના રહીજ ગામના વીર શહીદ વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમાનાં પ્રથમ વીરગતી દિવસ નિમિતે રહીજ મુકામે આજ કી શામ શહિદોકે નામ અંતર્ગત શહીદ વંદના (ભવ્‍ય લોકડાયરો) - ત્રિરંગાયાત્રા - સ્‍મારક અનાવરણ જેવા વિવિધ દેશભકિતના કાર્યક્રમોનું આયોજન તા. ૨૦ને શુક્રવાર સમસ્‍ત રહીજ ગામ તરફથી કરવામાં આવેલ છે.

આ દેશભકિત કાર્યક્રમમાં ૩.૩૦ કલાકે ત્રિરંગાયાત્રા- શહીદ સ્‍મારક માંગરોળ બંદરેથી માંગરોળ શહેર થઇને વીર શહીદ વિક્રમસિંહના સ્‍મારક રહીજ સુધી, સાંજે ૫.૩૦ કલાકે સ્‍મારક અનાવરણ સાધુ-સંતો, વિશિષ્ટ મહેમાનો, દેશપ્રેમી જનતાની ઉપસ્‍થિતિમાં ડો.આચાર્યશ્રી અજયકુમાર પંડયાના આશિર્વચન સાથે ત્‍યારબાદ સાંજે ૬ કલાકે ભોજન સમારંભ અને રાત્રીના ૯ કલાકે શહીદ વંદના (ભવ્‍ય લોકડાયરો)નું આયોજન કરેલ છે. આ લોકડાયરાના કલાકારો રાજભા ગઢવી, તેજલબા દરબાર, જાહલબેન આહીર તથા સાજીંદા ગૃપ સાથે દેશભકિતનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ પીરસશે.

આ કાર્યક્રમના પ્રમુખ સ્‍થાને શ્રી મહંત ઇન્‍દ્રભારતીજી મહારાજ ગુરૂ શ્રી પ્રેમભારતીજી મહારાજ  શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઘાંટવડ ઉપસ્‍થિત રહેશે. આ ઉપરાંત આમંત્રીત મહેમાનોમાં મિલેટ્રીમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ જુનાગઢ જિલ્લા ના સરકારી ખાતાનાં અધિકારીઓતેમજ રાજકીય આગેવાનો મહાનુભવો ઉપસ્‍થિત રહેશે.

વીર શહિદ વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમાં આ પ્રથમ શહીદ દીન નિમિતે ત્રણ ગામ ધુમાડાબંધ ભોજનનું પણ તેમના પરિવાર તથા સમસ્‍ત રહીજ ગામ દ્રારા આયોજન કરવામાં આવેલ છે.

તો આ શહીદ વંદના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા તમામ દેશભકતોને સમસ્‍ત રહીજ ગામ તથા તેમના પરિવાર દ્રારા નમ્ર નિવેદન કરવામાં આવે છે.

અત્રે આ તકે એ વાત પણ ઉલ્લેખનીય છે કે, માંગરોળ તાલુકાના નાનકડા એવા આ રહીજ ગામમાંથી હાલમાં પણ ૫૦ થી વધારે વધુ નવયુવાઓ આર્મીમા સેવા આપી રહ્યા છે. અને સમસ્‍ત રહીજ ગામ દેશભકિતના રંગે રંગાયેલુ હોય તેવુ પ્રતિત થઇ રહ્યુ છે.

(2:48 pm IST)