સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

જામનગર કલેકટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા અધિકારીની જગ્‍યા માટે અરજીઓ મંગાવાઈ

અરજદારે નિયત નમુનાનું અરજી ફોર્મ જરૂરી દસ્‍તાવેજો સાથે તા.૩૧ મે સુધીમાં કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: જામનગર જિલ્લાની કલેકટર કચેરી સામે ચાલતા તમામ કોર્ટ કેસોમાં સરકાર પક્ષે સબળ રજુઆત થઇ શકે તેમજ અસરકારક બચાવ થઈ શકે તે માટે કલેક્‍ટર કચેરી, જામનગર માટે કરાર આધારીત કાયદા અધિકારીની એક જગ્‍યા સરકારના મહેસુલ વિભાગ દ્વારા મંજુર થયેલ છે. સદરહુ જગ્‍યા ઉપર નિમણૂંક આપવા માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવા સારૂ પરિશિષ્ટ-૩ મુજબની લાયકાત ધરાવતા વકીલશ્રીઓ કે જેઓની વકીલ તરીકેની પ્રેકટીસ ૫(પાંચ) વર્ષથી વધુ હોય તેમજ ઉંમર ૫૦ વર્ષથી વધુ ન હોય તેવા વકીલશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉમેદવારોએ  તેમની અરજીઓ નિયત નમુનામાં પોતાના લેટરપેડ પર અથવા કોરા કાગળ ઉપર ભરી જન્‍મ તારીખ, શેક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા નિયત  નમુનાના ડેકલેરેશન ફોર્મ તથા બાંહેધરી સાથે તા.૩૧/૦૫/૨૦૨૨ ૧૮:૧૦ કલાક સુધીમાં કલેકટર કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.

નિમણુંક મેળવનાર ઉમેદવારને સેવાની અન્‍ય બોલીઓ અને શરતો પરિશિષ્ટ-૧ મુજબ લાગુ પડશે. તેમજ તેમણે બજાવાની રહેતી સામાન્‍ય ફરજો અને જવાબદારીઓની વિગતો પરિશિષ્ટ-૨ મુજબ રહેશે. આ અંગે સરકારના વખતો-વખતના  હુકમોનું પાલન કરવાનું રહેશે.

અરજીનો નમુનો તથા પરિશિષ્ટ-૧ થી ૩, તથા નિયત નમુના ડેકલેરશન અને બાહેધરી જિલ્લા સેવા સદન, શરૂ સેકશન રોડ, કલેકટર કચેરીની મેજિસ્‍ટ્રેરીયલ શાખા (રૂમ નં. ૧૧૦ પહેલો માળ) માંથી કચેરી સમય દરમ્‍યાન મળી શકશે. અધુરી વિગતની કે સંદિગ્‍ધ અરજીઓ તેમજ મુદત વિત્‍યા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. ઉમેદવારને  રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે તો તેમણે પોતાના ખર્ચ આવવાનું રહેશે.

(1:29 pm IST)