મોરબી જિ. પંચાયતના પૂર્વ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર: લખ્યું- વેરા કમિશનરની કચેરીના હેડ ક્વાર્ટર મોરબીમાં નિર્મિત કરો.
મોરબીમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોર ચીખલીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી વેરા કમિશનરની કચેરીના હેડ ક્વાર્ટર મોરબીમાં નિર્મિત કરવા માંગ કરી છે.
તેમને પત્રમાં જણાવ્યું હતું કે, નાણા વિભાગ ગાંધીનગરના તારીખ 30/9/2021ના જાહેરનામા અન્વયે સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વિભાગ-1, તથા સંયુક્ત રાજ્ય કમિશનરશ્રી વિવાદ-2 નું નવું કાર્યક્ષેત્ર ગાંધીધામ મુકામે કાર્યરત થયેલ છે. જેમાં મોરબીનું કાર્યક્ષેત્ર આ બંને કચેરીના કાર્યક્ષેત્ર ગાંધીધામમાં સમાવેશ કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં અનેક પ્રકારના મોટા ઉદ્યોગો આવેલા છે જેવા કે સિરામિક, ઘડિયાળ, પોલિપેક, વગેરે ઉદ્યોગો ખૂબ જ પ્રમાણમાં છે. સિરામિક ઉદ્યોગ નું એક્સપોર્ટ અંદાજે 12 હજાર કરોડનું ટર્ન ઓવર થાય છે. આ એક્સપોર્ટના કારણે ઉદ્યોગને રિફંડ પણ મોટા પ્રમાણમાં થતું હોય છે. તેમજ S.G.S.T ની કામગીરી પણ મોટા પ્રમાણમાં રહે છે તો આ બંને કચેરીઓ ગાંધીધામ જવાથી મોરબી ને એકદમ અલગ પડે તેમ છે કારણકે ગાંધીધામ કચ્છ માં સામાજિક વ્યવહારો કે વ્યાપાર ને લગતા વ્યવહારો બિલકુલ નથી જે આજે રાજકોટમાં છે. જેથી અમોને આ બંને કચેરીનું હેડ કવોટર ગાંધીધામ પરવડે તેમ નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં નાયબ રાજ્ય કરવેરા કમિશનરની કચેરી નવી કાર્યરત થાય તો તે પણ મોરબી મુકામે જ હેડકવોટર થાય તેવી અમારી રજૂઆત છે અને નાયબ રાજ્ય કરવેરા કમિશનરની 90% કામગીરી હોય છે જે ગાંધીધામ મુકામે ઉદ્યોગકારોને દરરોજ S.G.S.T કામગીરી જેવી કે રીફંડ, આકારણી વગેરેની કામગીરી માટે ગાંધીધામ મુકામે વેપારીઓને જવું પરવડે નહીં. જેથી ભવિષ્યમાં નાયબ રાજ્ય કરવેરા કચેરી જુદી કરવાનું હેડક્વાર્ટર મોરબી મુકામે જ આપવા અમારી માગણી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં અનેક પ્રકારના નાના મોટા 2500થી 3000 ઉદ્યોગો મળી આશરે રૂ. 45થી 50 હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે તેમાં આશરે બધા ઉદ્યોગો મળી રૂ.10-12 હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારને આશરે 1500થી 1700 કરોડની મોરબી જિલ્લો કર ચૂકવે છે જો મોરબી જિલ્લો સરકારને આટલો કર ભરતો હોય તો સરકારને મોરબી જિલ્લાના તમામ પ્રકારની સરળતા મળે તેવી સુવિધા સરકારે આપવી જોઈએ.અમારી આ માગણીને ધ્યાને લઇને તમામ કચેરીઓ ના હેડક્વાર્ટર મોરબીમાં આપવા આવે અને જો સરકારી મોરબીમાં હેડક્વાર્ટર ન આપી શકે તો મોરબી જીલ્લા ના S.G.S.T ના તમામ વિભાગ રાજકોટ સાથે જોડાયેલા છે તે યથાવત રાખવા અમારી માગણી અને લાગણી છે.