વંથલીના સેંદરડા વાડી વિસ્તારમાં ડબલ મર્ડર
મહિલા પોલીસકર્મચારી કુંવરબેન જીલડીયાના માતા-પિતાની હત્યા કરીને અજાણ્યા શખ્સો ફરારઃ લૂંટના ઈરાદે હત્યા થયાનું અનુમાનઃ પોલીસ કાફલો ઘટના સ્થળે
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૮ :. જૂનાગઢ જિલ્લાના વંથલીના સેંદરડા વાડી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મહિલા પોલીસ કર્મચારીના માતા-પિતાની હત્યા કરીને અજાણ્યા શખ્સો નાસી છૂટતા ચકચાર જાગી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વંથલી તાલુકાના સેંદરડા ગામની સીમના વાડી વિસ્તારમાં ટીન્મસ રહેતા રાજાભાઈ દેવદાનભાઈ જીલડીયા અને તેમના પત્નિ જાલુબેન રાજાભાઈ જીલડીયાની હત્યા થયેલ હાલતમાં મૃતદેહ પડયા હોવાની માહિતી વંથલી પોેલીસને મળતા વંથલીના મહિલા પીએસઆઈ એ.પી. ડોડીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે મૃતદેહો ઉપર હથીયારોના ઘા ઝીંકેલ હોવાનું જોવા મળતા પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડેલ છે. ડબલ મર્ડરની ઘટના કેવી રીતે બની ? તે પાછળનું કારણ ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી પરંતુ લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાનુ અનુમાન છે. તિક્ષ્ણ હથીયારના ઘા મારીને રાજાભાઈ આહીર અને તેના પત્નિ જાલુબેન આહીરની હત્યા કરીને નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે અને નાકાબંધી કરીને તથા સીસીટીવી ફુટેજ અને ડોગ સ્કવોડની મદદથી આ શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
આજે વહેલી સવારે ડબલ મર્ડરની ઘટનાથી નાના એવા સેંદરડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ મૃતક દંપતિ જૂનાગઢમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી કુંવરબેન જીલડીયાના માતા-પિતા થતા હોવાનું જાણવા મળ્યુ છે. મહિલા પોલીસ કર્મચારી ખોરાસા ખાતે સાસરે હોવાનું જાણવા મળ્યુ છે.