મોરબીમાં ઉત્તરાયણે દાનની સરવાણી વહી: પાંજરાપોળને ૫૧.૪૪ લાખ દાન મળ્યું.
---પાંજરાપોળે સહયોગ આપનાર દાતાઓ અને સંસ્થાઓ આભાર માન્યો
મોરબી પાંજરાપોળ ગૌશાળા દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે એક જ દિવસમાં રૂ. ૫૧,૪૪,૩૩૧ જેટલી માતબર ધનરાશિ એકઠી કરવામાં આવી છે. આમ, મોરબીવાસીઓએ ઉત્તરાયણે દાનની સરવાણી વહાવી ગૌપ્રેમનો પરિચય આપ્યો છે.
મોરબી પાંજરાપોળની સ્થાપના મોરબીના મહારાજાએ ૨૭૦ વર્ષ પહેલા કરેલ છે. જેના ત્રણ જગ્યાએ તેના વંડા અને શેડ છે. મોરબીમાં લીલાપર રોડ, રફાળેશ્વર ગામે અને મકનસર વીડ આ ત્રણેય જગ્યાઓમાં ગૌવંશ ગાય, વાછડા, બળદ, સાંઢ મળીને આશરે પાંચ હજાર જેટલા ગૌવંશ પશુઓને આશરો આપવામાં આવે છે.
ગત તારીખ ૧૪ને મકરસંક્રાતિ પર્વના દિવસે મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ તરફથી દાનભેટ સ્વીકારવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૩૩ જેટલા સ્ટોલ ઉભા કરીને મોરબી શહેરની જુદી જુદી સેવાભાવી મંડળીઓ મારફત દાનભેટ આપવા માટે અપીલ કરવામાં આવેલ છે. તેમાં મુખ્યત્વે બજરંગ મંડળ એ કાર્ય કરેલ છે. આ કામ માટે સવારના ૮ કલાકથી સાંજે ૬ કલાક સુધી ખડેપગે ઉભા રહીને સેવાધારી – ગૌપ્રેમી વ્યકિતઓ દાન-ભેટ માટે અપીલ કરતા હોય છે.