કોરોનાના ભરડામાં કચ્છઃ એકિટવ કેસ, નવા દર્દીઓ અને મોતના આંકડાઓમાં સતત ઉછાળો
નવા ૩૪ સાથે એકિટવ કેસ ૩૧૪, કુલ કેસ ૧૬૯૦, વધુ એક મોત સાથે બિન સતાવાર મૃત્યુ આંક ૯૬
(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૭: કોરોનાએ કચ્છ જિલ્લાને પોતાના ભરડામાં લઈ લીધો છે. એક પછી એક અનલોક બાદ એક બાજુ લોકોની બેદરકારી પણ દેખાઈ રહી છે, તો બીજી બાજુ સરકારની સારવાર અંગેની મોટી મોટી જાહેરાતો વચ્ચે કચ્છમાં વાસ્તવિક પરિસ્થિતિ બિહામણી છે. તંત્ર આંકડાઓ છુપાવી રહ્યુ છે અને સરકાર મુક બનીને જોઇ રહી છે. રાજયના આરોગ્ય કમિશનર પણ મીટીંગોમાં વ્યસ્ત રહ્યા પણ વાસ્તવિકતા જાણવા અને મીડીયામાં આવતા અહેવાલોને સત્ત્।ાવાર રદિયો આપી દર્દિયોના મોત અંગેની સાચી પરિસ્થિતિ જણાવવા, નવા વેન્ટીલેટર કચ્છમાં મોકલી વેન્ટીલેટર બેડ વધારવા અંગે કોઇ ઠોસ જાણકારી ન આપી. હા, એટલું કર્યું ટ્રસ્ટની અને ખાનગી મળીને નવી ત્રણ હોસ્પિટલમા ૧૧૫ બેડ વધારવાની જાહેરાત કરી. પણ, કચ્છમાં મોટી મુશ્કેલી વેન્ટીલેટર બેડ અને આરોગ્યના સ્ટાફની છે. તેમાંયે ખાસ કરીને કોવિડની સારવાર આપનાર પેરા મેડીકલ સ્ટાફના આરોગ્ય કર્મીઓ ઓછા છે. ભુજની કોવિડ હોસ્પિટલમા જુનિયર સ્ટાફ ગાડુ ગબડાવે છે. વધતા જતા કેસ વચ્ચે કચ્છમાં નવા ૩૪ દર્દીઓ સાથે કુલ સંખ્યા ૧૬૯૦ ઉપર પહોંચી છે. સાજા થયેલા દર્દીઓ ૧૨૮૦ છે. એકિટવ કેસ ૩૧૪ છે. બિન સતાવાર મોત ૯૬ છે. સરકારી ચોપડે મોત ૫૬ છે.