સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th August 2022

શ્રાવણમાં જુનાગઢ જિલ્લામાં મેઘાની જમાવટઃ વધુ એકથી બે ઇંચ વરસાદ

મોસમનો કુલ વરસાદ ૯૭.ર૦

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૭ :  શ્રાવણમાં જુનાગઢ જિલ્લામાં મેઘાએ બરાબરની જમાવટ કરતા વધુ એક થી બે ઇંચ વરસાદ થયો છે. જેના પરિણામે નદી નાળા ફરી છલકાય ગયા છે.

પવિત્ર શ્રાવણ માસ પુરો થવામાં છે આજથી જન્‍માષ્‍ટમી પર્વની શરૂઆત થઇ છે. ત્‍યારે જુનાગઢ જિલ્લામાં અષાઢની જેમ મેઘાએ અવિરત વરસવાનું ચાલુ રહયુ છે.

જુનાગઢમાં સોમવારની માફક મંગળવારની રાત્રે પણ મેઘો વરસ્‍યો હતો. મધરાત બાદ શરૂ થયેલી મેઘ સવારી આજે સવાર સુધીમાં યથાવત રહેતા જુનાગઢની વધુ બે ઇંચ પાણી પડયાનું નોંધાયુ હતુ.

જુનાગઢના દાતાર પર્વતીય વિસ્‍તારમાં રાત્રીના પડેલા ભારે વરસાદના કારણે જુનાગઢનું નરસિંહ મહેતા સરોવર આજે પણ ઓવરફલો.

ગિરનાર ઉપર પણ ભારે વરસાદ વરસતા સીડી પરથી ધોધની માફક પાણી વહેતા જોવા મળ્‍યા હતાં. આ સાથે દામોદરકુંડ ફરી છલોછલ થઇ ગયો હતો અને સોનરાત નદીમાં પુર આવ્‍યું હતું.

ર૪ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લામાં કુલ ૩ર૪ મીમી એટલે કે ૧૩ ઇંચ વરસાદ નોંધાતા જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૯૭.ર૦ ટકા થવા પામ્‍યો છે.

આજે સવાર સુધીમાં જુનાગઢ જિલ્લાનાં કેશોદમાં ર૬ મીમી, જુનાગઢ ૪૧, ભેંસાણ ર૦, મેંદરડા ૩૬ મીમી, માંગરોળ ૧૮ મીમી, માણાવદર ૩પ, માળીયા હાટીના ૪૪, વંથલી ૧૮ અને વિસાવદર તાલુકામાં ૪ર મીમી વરસાદ થયો હતો.

આ લખાય છે ત્‍યારે પણ જુનાગઢ શહેર સહિત જિલ્લામાં વરસાદ ચાલુ રહયો છે.

(1:15 pm IST)