મોરબીઃ અજંતા-ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં રૂા. ૫,૦૦,૫૦૦ના ૧૦૦૧ વૃક્ષનું દાન આપ્યુ
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૭ : રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા અને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ‘હર ઘર તિરંગા' અને ‘પર્યાવરણ બચાવો' અભિયાન અંતર્ગત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલે રૂ. ૫,૦૦,૫૦૦ ના ૧૦૦૧ વૃક્ષનું દાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદમાં કર્યું હતું. અને વૃક્ષના દાતા બનીને સદર અભિયાનમાં સહભાગી બનીને અન્ય માટે પ્રેરણારૂપ પણ બન્યા હતા. તેમના આ કાર્ય બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા ગૌરવની લાગણી અનુભવે છે.
સંસ્થાએ માત્ર વૃષારોપણ નહિ, પરંતુ તેના ઉછેરની જવાબદારી પણ સ્વીકારી છે. જે અંગે જયસુખભાઇ પટેલે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવવાનો છે. ઘરો અને સંસ્થાઓમાં ધ્વજ ફરકાવાથી લોકો વ્યક્તિગત સ્તરે રાષ્ટ્રભાવના સાથે જોડાશે. આવનારી પેઢીમાં દેશ પ્રેમની ભાવનાનું ઊંડાણ પૂર્વક સિંચન થશે. આ અભિયાન લોકોમાં રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા મહત્વ નું યોગદાન આપશે.