સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જામનગરમાં જિલ્લા કક્ષાની અમૃત મહોત્સવની ઉજવણી
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જીલ્લાકક્ષા એ જામનગરની ડી.કે.વી. આર્ટસ અને સાયન્સ કોલેજ ખાતે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના હસ્તે આજે ૧૫ મી ઓગસ્ટ - ૭૬ મા સ્વતંત્રતા દિવસે ડી.કે.વી. કોલેજ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત દેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આજે આપણે સૌ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આપણા વીર સપૂતો અને દેશભકતોના બલીદાનના કારણે આપણને આઝાદી મળી છે ત્યારે હું એ વીર શહીદોને નમન કરું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૧૪ ઓગસ્ટના જામનગર ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા ‘રાષ્ટ્રીય જનચેતના બાઈક રેલી' યોજાઈ રેલીમાં કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઉપરાંત જીલ્લાકક્ષા એ નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવેલ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જામનગર ડી.કે.વી. કોલેજ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે સિન્ડિકેટ સભ્યશ્રી ડો. વિમલભાઈ પરમાર, ડી.કે.વી. કોલેજના આચાર્ય ડો. પુરોહિત, પરીક્ષા નિયામક નિલેષભાઈ સોની, એન.એસ.એસ. કોઓર્ડીનેટર ડો. એન.કે. ડોબરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.