મહુવાના કળસાર ગામની પરિણીતાનો પતિના ત્રાસથી આપઘાત
ભાવનગર, તા.૧૭: તળાજા તાલુકાના દેવળીયા ગામમાં રહેતા હિંમતભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાએ મહુવા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,તેમની મોટી દીકરી રવીનાબેન (ઉ.વ. ૨૦ ) એ એક વર્ષ પહેલા મહુવા તાલુકાના કળસાર ગામમાં રહેતા કલ્પેશ વિઠ્ઠલભાઈ ડોડીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા, પ્રેમલગ્ન કર્યા બાદ તેમની દીકરી પરિવાર સાથે સંપર્કમાં ન હતી. દરમિયાન બે મહિના પહેલા તેમની દીકરીએ તેના નાના ભાઈના મોબાઈલમાં વિડિઓ કોલ કરીને તેનો પતિ કલ્પેશ શારીરિક,માનસિક ત્રાસ આપતો હોય તેડી જવા જણાવેલ.
દીકરીનો ફોન આવતા હિંમતભાઈ બીજા દિવસે દીકરીને તેડવા માટે ગયા હતા, પરંતુ કલ્પેશે તેણીને સાથે આવવા ન દેતા તેઓ ખાલી હાથે ઘરે પરત ફર્યા હતા. ત્યાર બાદ ગઈ તા.૧૪/૮ ના રોજ ફરી રવીનાબેનનો ફોન આવ્યા બાદ સાંજે તેમના ભત્રીજાએ ફોન કરી સમાચાર આપ્યા હતા કે,રવીનાબેને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મહુવા પોલીસે કલ્પેશ ડોડીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગાયત્રીનગરમાં બાઇક અથડાતા બે જૂથો વચ્ચે અથડામણ
શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં પાર્થ સોસાયટી રહેતા હિતકરણસિંહ રતુભા ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતાના ભાઈ મહિપતસિંહના પ્રયાગરાજસિંહનું મોટરસાયકલ આજ વિસ્તાર ખાતે રહેતા જયવીર સાથે અથડાઈ જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મીત, અલ્પેશનો દીકરો જયવી૨, અલ્પેશભાઈ અને ચાર અજાણ્યા શખ્સોએ લાકડા સાથે ધસી આવી પ્રયાગરાજસિંહ તથા પિતા મહિપતસિંહ અને હિતકરણસિંહને ગાળો આપી લાકડા મારી ઈજા પહોંચ્યાની પોલીસ ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. જ્યારે આ બનાવ અંગે સામા પક્ષે અલ્પેશ વિનુભાઈ રાઠોડે ધ્રુવરાજસિંહ ઉર્ફે રાજા, રીક્રુ, હિતકરણસિંહ મહિપતસિંહ અને પ્રયાગરાજ સિંહ વિરુદ્ધ વળતો હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
શહેરમાં કોરોના ના બે કેસ નોંધાયા
ભાવનગર શહેરમાં કોરાનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્યમાં કોઈ કેસ નોંધાયો નથી. ભાવનગર શહેર કે ગ્રામ્ય માં આજે કોઈ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી. હવે ભાવનગર માં કોરોના ના એક્ટિવ દર્દીઓની સંખ્યા ૬૧ રહેવા પામી છે.