મીઠાપુરઃ ભારત સેવક સમાજ દ્વારા સુરેશ માંગુકીયાને ‘કર્મશ્રી' એવોર્ડ અર્પણ
(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ૧૭ :.. ભારત સેવક સમાજ આજથી સાત દાયકા પૂર્વે સ્વાતંત્ર્ય પ્રાપ્તી પછી સમાજના અમુક વર્ગને ખાસ કરીને ચુસ્ત ગાંધીવાદી સમુહને સક્રિય રાજકારણમાં રસ ન હત,ો છતાં રાષ્ટ્રની વિકાસની કેડી કંડારવામાં સહભાગી થવા તેમની તીવ્ર ઉત્કંઠા હતી. સમાજના વિવિધ કલ્યાણકારી યોજનામાં જોડાય તેવી કોઇ બિનરાજકીય અને બિનસરકારી સંસ્થા હોય એવો વિચાર ભારત રત્ન સ્વ. ગુલઝારીલાલ નંદાના મનમાં ઘુમતો હતો અને તે વિચારને અમલમાં મૂકી ને સ્વ. પંડિત જવાહરલાલ નહેરૂ અને ભારત રત્ન સ્વ. ગુલઝારીલાલએ ‘ભારત સેવક સમાજ' ના નામથી ભારતભરમાં કાર્ય કરી શકે એવી સંસ્થાના બીજ રોપ્યા અને જીવન પર્યત તેના પ્રમુખપદે રહી સંસ્થાને માર્ગદર્શન આપતા રહયા આજથી બરાબર ૭૦ સિત્તેર વર્ષ પહેલા તા. ૧ર-૮-૧૯પર ના રોજ ભારતની લોકસભામાં ખરડો પસાર કરી ભારત સેવક સમાજની સ્થાપના થઇ અને ત્યારબાદ ૧૯પ૩ માં સ્વ. રાવજીભાઇ ના નેતૃત્વ હેઠળ ગુજરાત શાખાનો પ્રારંભ થયો.
આ સંસ્થા દ્વારા થતી મુખ્ય પ્રવૃતિઓમાં સંસ્કાર કેન્દ્ર, યુવકો માટે પ્રવૃતિઓ, મહીલાઓ માટે પ્રવૃતિઓ, રોજગાર માટે પ્રવૃતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજીક કાર્યક્રમો, શૈક્ષણીક પ્રવૃતિઓ, યુથ હોસ્ટેલ સુવિધા, શિબીરો, વ્યાખ્યાનો, યોગ કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, રાહત કાર્યો, રકતદાન, ચક્ષુદાન, વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
સમગ્ર દેશમાંથી વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃતિ કરતા વ્યકિતઓને ભારત સેવક સમાજની સેન્ટ્રલ ઓફીસ સ્ટેઇન ઓડીટોરીયમ, ઇન્ડી હેબિટેટ સેન્ટર ગેટ નં. ૩ વર્ધમાન માર્ગ, લોધી રોડ ન્યુ દિલ્હી ખાતે ‘કર્મશ્રી' એવોર્ડ અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતાં.
ગુજરાત માંથી ભાવનગરના સુરેશ માંગુકીયાને વિવિધ સામાજિક સેવાઓ અને શૈક્ષણીક પ્રવૃતિ બદલ ‘કર્મશ્રી' એવોર્ડથી સન્માનીત કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશ માંગુકીયા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર ઝોનના મિડીયા કન્વીનરની જવાબદારી હાલ નિભાવે છે. અને છેલ્લા બાવીસ વર્ષથી શૈક્ષણીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેઓએ અત્યાર સુધીમાં લગભગ પાત્રીસ હજાર વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય કર્યુ છે. અને તેમના વિદ્યાર્થીઓમાંથી લગભગ આશરે ચાર હજાર વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂકયા છે. તેમની સંસ્થામાં રોજગારી મળી રહે તેવા જ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.
આ સમારંભમાં શ્રી રાજેશ અગ્રવાલ (ભારત સરકારના સચિવ, કૌરલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર)શ્રી એમ. એમ. હસન (ચેરમેન, જનશ્રી માઇક્રોફીન લીમીટેડ) ડો. અનિલ સહસ્દ્રબુદે (ચેરમેન AIVTE ) શ્રી સંજય શિવનાની (હેડ - વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ -ABRL અને સહ અધ્યક્ષ FICCI કૌશલ્ય વિકાસ સમિતિ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી એસ. એ. જી. મોયસનજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું તેમજ ભારત સેવક સમાજના ચેરમેનશ્રી બી. એસ. બાલાચંદ્રનજીએ ખાસ આભાર વ્યકત કર્યો હતો.