સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

આજે ‘વિશ્વ હાઇપર ટેન્શન ડે’: બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી લાંબુ જીવન જીવો

ભુજની અદાણી જી.કે. જન. હોસ્પિ.મેડિસિન વિભાગે WHOને ટાંકીને આપ્યો સંદેશ, વિશ્વમાં દર ચારે એક વ્યક્તિને બ્લડપ્રેશર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭

 આજે ૧૭ મે વિશ્વ હાઇપર ટેન્શન ડે છે. ત્યારે જાણીએ બી.પી. વિશેની કેટલીક મહત્વની જાણકારી. સમગ્ર વિશ્વમાં દર ચારે એક વ્યક્તિ હાઇ બી.પી. પીડિત છે,ત્યારે તેમણે પોતાનું બ્લડપ્રેશર સચોટ રીતે મપાવી તેને નિયંત્રિત કરવાની આદત કેળવી લાંબુ જીવન જીવવાનો સંદેશો અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિ.ના મેડિસિન વિભાગના તબીબોએ WHOને ટાંકીને આપ્યો છે. 

જી.કે.ના મેડિસિન વિભાગના આસી.પ્રો. અને ડો. જયંતિ સથવારાએ કહ્યું કે, હાઇ.બી.પી. કોઈપણ ઉમરની વ્યક્તિને થઈ શકે છે. પરંતુ, સ્ત્રી કરતાં પુરુષોમાં આ ખતરો વધુ હોય છે. બી.પી.થવાના મુખ્ય કારણોમાં કૌટુંબિક ઇતિહાસ, ટેન્શન, અયોગ્ય ખાણી-પીણી અને આડેધડ અપનાવાતી જીવનશૈલી જવાબદાર છે. 

હાઇપર ટેન્શનને સાઈલેન્ટ કીલર કહેવામા આવે છે. કારણ કે, સીધી રીતે તેના લક્ષણો દેખાતા નથી. પરંતું શરીરમાં કેટલુંક અસાધારણ લાગે જેમ કે, ખૂબ પસીનો આવવો, ગભરામણ થવી, સરખી ઊંઘ ન આવવી, તેમજ ઘણીવાર સખત માથું દૂ;ખવું, નાકમાથી લોહી પડવું તેવા લક્ષણો છે આ ઉપરાંત, વારંવાર ગુસ્સો આવવો, એ માનસિક લક્ષણ છે આમ તો, ગુસ્સો એ એક ભાવના છે. પણ તેની માત્રા વધે તો એ બી.પી.નું મોટું લક્ષણ ગણાય છે. 

બી.પીને નિયંત્રણમાં રાખવા અંગે તબીબોએ કહ્યું કે, બીપીગ્રસ્ત વ્યક્તિએ સતત દવા ઉપર નિર્ભર રહેવું પડે છે પરંતુ, હંમેશા પ્રવૃત રહેવાની સાથે વોકિંગ, રનિંગ, સ્વિમિંગ અને બીજી નિયમિત કસરતથી તેને ઘણે અંશે નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત, ધૂમ્રપાન અને શરાબનો સદંતર ત્યાગ મીઠું(નમક)ઓછું ખાવું અને ઉપરથી તો ન જ લેવું વિગેરે દ્વારા નિયંત્રણમાં લાવી શકાય છે. જે કારણને લઈને ટેન્શન થતું હોય એ કારણ દૂર કરાય તો પણ રાહત રહે છે. ફળ અને લીલા શાકભાજી રોજિંદા ખોરાકનો ભાગ બનાવો જોઈએ. 

આવા આધુનિક જમાનાના રોગ સમા બી.પી.ને કંટ્રોલ કરવા WHO દ્વારા ૧૭મી મે ૨૦૦૬થી હાઇપરટેન્શન ડે ઉજવે છે. ૨૦૨૨ના વર્ષ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ‘પ્રેશર સચોટ રીતે મપાવી તેને નિયંત્રિત કરી લાંબુ જીવવા થીમ આપી છે’.

(9:54 am IST)