મકર સંક્રાંતિના પર્વ સોમનાથ મહાદેવને, તલનો અભિષેક-તલનો શ્રીંગાર
પ્રભાસ પાટણ તા. ૧૬ :.. શ્રી સોમનાથ જયોતિલીંર્ગ મંદિરમાં મકર સંક્રાંતિના પવિત્ર પર્વએ સૂર્યનારાયણ તથા શ્રી સોમનાથ મહાદેવને તલનો અભિષેક કરી મહાપૂજન કરવામાં આવ્યુ. તલનો શ્રીંગાર કરાયો. સૂર્યનારાયણને અંજલી અપી પૂજન કરવામાં આવ્યું. સોમનાથ મંદિર પરિસરમાં જ ગૌ-પૂજન કરવામાં આવ્યું.
શ્રી સોમનાથ તીર્થધામમાં પણ સૂર્ય પૂજાનું અનેરુ મહત્વ છે. આ તીર્થધામમાં બાર સૂર્ય મંદિર આવેલા હતાં. હાલ પણ બે સૂર્ય મંદિરો જોવા મળે છે. પ્રભાસ એટલે અતિશય પ્રકાશમાન પ્રભાસ ક્ષેત્રનું બીજું નામ ભાસ્કર ક્ષેત્ર પણ છે. પુરાણોમાં એવી કથા છે કે પ્રભાસમાં સૂર્ય કળાએ પ્રકાશતા હતાં. એ પ્રકાશ એટલો અસહ્ય હતો કે તેમની પત્ની છાયા પણ તેમની નજીક ન જઇ શકતા. આથી સૂર્યદેવએ પોતાની સોળ કળામાંથી બાર કળા સૂર્ય મંદિરને આપી દીધી અને ચાર કળા પોતાની પાસે રાખી. આ પરથી કહેવાય કે અહીં સૂર્ય પૂજાનું અનેરુ મહત્વ હશે. આ પવિત્ર તહેવારએ શ્રી સોમનાથ મંદિરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી ગૌશાળામાં ગૌ-પાલન માટેનું દાન પણ સ્વીકારવામાં આવે છે. (તસ્વીર - દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)