કાલે અલ્પેશ કથીરિયા મોરબીમાં : પાસમાં ફરી સળવળાટ
સરદાર પટેલ જયંતિ પહેલા પાટીદાર અનામત આંદોલનના ખોટા કેસ પરત ખેંચી 14 પરિવારને નોકરીનો વાયદો પૂર્ણ કરવાનો મુખ્ય ધ્યે
મોરબી : પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 યુવાનોના પરિવારોને સરકારી નોકરી અને અનામત આંદોલનકારીઓ સામે થયેલ કેસ પરત ખેંચવા પાસ સમિતિ દ્વારા ગુજરાત સરકારને 31 ડિસેમ્બર એટલે કે સરદાર પટેલ જયંતિ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે ત્યારે આવતીકાલે રવિવારે પાટીદાર યુવા અગ્રણી અલ્પેશ કથીરિયા મોરબીની મુલાકાતે આવી રહ્યા છે.
મોરબી પાસ કન્વીનર મનોજ પનારાના જણાવ્યા મુજબ પાટીદાર યુવા અગ્રણી અલ્પેશ કથીરીયા આવતીકાલે રવિવારે મોરબી આવી રહ્યા છે. મોરબી મુલાકાત દરમિયાન તેઓ સાંજે 08:00 કલાકે તમામ પાટીદાર વડીલો અને યુવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવાની સાથે ગેટ્ટુગેધર જેવો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
વધુમાં પાસ અગ્રણી મનોજ પનારાએ ઉમેર્યું હતું કે અગાઉના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર યુવાનો ઉપરના કેસ પરત ખેંચવા માંગ ઉઠાવી શહીદ પાટીદાર યુવાનોના પરિવારજનોને નોકરી આપવા માંગ કરવામાં આવી હતી જે પ્રવર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પણ કરી છે અને આ સંદર્ભે 31 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે અને જો માંગ પૂર્ણ નહિ થાય તો સામાજિક કાર્યક્રમો થકી સરકારની આંખ ઉઘડવા પ્રયાસ કરવામાં આવશે અને અલ્પેશ કથીરિયા આ સંદર્ભે જ મોરબીના પાટીદાર અગ્રણીઓ યુવાનો અને વડીલો સાથે વિચાર વિમર્શ કરનાર હોવાનું અંતમાં જણાવ્યું હતું