વાંકાનેર માર્કેટયાર્ડની ચૂંટણી ૧૧ જાન્યુઆરીએ
રાજકોટ જિલ્લા બેંક પ્રેરિત મત મહત્વના રસપ્રદ સમીકરણો ખેત બજાર નિયામક, યુ.એમ.વાસણવાળાએ જાહેર કર્યો ચૂંટણી કાર્યક્રમ : ૩૦ ડીસેમ્બર ફોર્મ ભરવાનો દિવસઃ હાલ યાર્ડમાં કોંગીનું શાસન : આગામી ચૂંટણીમાં જયેશ રાદડિયા પ્રેરિત બેંકના પચાસેક મત મહત્વના
રાજકોટ,તા. ૧૬: રાજ્યના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક શ્રી યુ.એસ.વાસણવાળાએ (યાર્ડ)નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ખેડૂત વિભાગની ૧૦, વેપારી વિભાગની ૪ અને સહકારી સંઘ વિભાગની ૧ મળી કુલ ૧૫ બેઠકો માટે ચૂંટણી થનાર છે. તા. ૩૦ ડીસેમ્બર ફોર્મ ભરવાની અને તા. ૩૧ ચકાસણીની તારીખ છે. ૩ જાન્યુઆરી ફોર્મ પાછા ખેચવાની મુદત છે. જરૂર પડે તો ૧૧ જાન્યુઆરીએ મતદાન અને બીજા દિવસે મત ગણતરી થશે.
વાંકાનેર વહીવટી દ્રષ્ટિએ મોરબી જિલ્લામાં આવે છે પણ સહકારી દ્રષ્ટિએ રાજકોટ જિલ્લા સહકારી બેંકનું કાર્યક્ષેત્ર લાગુ પડે છે. જિલ્લા બેંક પ્રેરિત પચાસ જેટલા મત છે. ગઇ ચૂંટણી કરતા આ વખતે રાજકીય સમીકરણો અલગ છે. ભાજપ હાઇકમાન્ડે કોંગી સાથે સહકારી ક્ષેત્રે કયાંય ગઠબંધન નહીં કરવાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જિલ્લા બેંકના ડીરેકટર કોંગી ધારાસભ્ય જાવેદ પીરઝાદા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભૂમિકા ધરાવે છે. જિલ્લા બેંકના મતદારો કઇ તરફ વળે છે ? તે મહત્વનું બનશે આજે ચૂંટણી જાહેર થયાની પૂર્વ સંધ્યાએ ગઇ કાલે યાર્ડ સાથે સંકળાયેલા ૫૦૦ થી વધુ લોકોનો મેળાવડો ગઇ કાલે યોજવામાં આવ્યો હતો. યાર્ડની ચૂંટણીમાં મહત્વ ધરાવતા અમૂક મોટા માથાઓની જાહેર અને ખાનગી ભૂમિકા શું રહે છે ? તે તરફ સ્થાનિક રાજકીય અને સહકારી વર્તુળોની મીટ છે.