વાંકાનેર યાર્ડની ચૂંટણી જાહેર થતા જ રાજકીય-સહકારી ક્ષેત્રે ગરમાવો
(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૬ : વાંકાનેર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટીંગ યાર્ડ)ની ચૂંટણી આગામી તા. ૧૧/૧/૨૦૨૨ ના રોજ મતદાન યોજાશે.
જેમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક, વેપારી વિભાગની ૪ બેઠક, ખરીદ વેચાણ સંઘની ૧ બેઠક એટલે કે કુલ ૧૫ બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ ગુજરાત ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર બોર્ડના નિયામક યુ.એમ.વાસણાવાળા, ડો.જીવરાજ મહેતા ભવન, સચિવાલય-ગાંધીનગર દ્વારા જાહેર થતા તાલુકાભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેર (જીલ્લા મોરબી)ની સામાન્ય ચૂંટણીનો સુચનાપત્ર (નોટીસ) પ્રસિધ્ધ થતા, તાજેતરમાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કેસરીયો લહેરાવ્યા બાદ કોંગ્રેસની વર્ષો જુની સત્તાનું સમાપન થયેલુ હતું. તે જ રીતે આગામી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં તેનું પુનરાવર્તન થાય તેવું ભાજપ સુત્રોમાંથી જાણવા મળે છે.
આ ચૂંટણી કાર્યક્રમમાં ખેડૂતો વિભાગ, વેપારી વિભાગ અને સંઘ વિભાગની ઉમેદવારી કરવા માટે તા. ૩૦/૧૨/૨૦૨૧ અને ફોર્મ ભર્યા બાદ ચકાસણી તા. ૩૧/૧૨/૨૧ અને ઉમેદવારી પાછી ખેંચવાની તા. ૩/૧/૨૦૨૨ તેમજ મતદાનની તા. ૧૧/૧/૨૦૨૨ સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી હાલના યાર્ડ ખાતે થશે. અને તેનું રીઝલ્ટપાને મત ગણતરી તા. ૧૨/૧/૨૨ ના સવારે ૯ થી સાંજના પુરૂ થાય ત્યાં સુધી રહેશે.
રાજકોટ મોરબી અને ગોંડલની તાજેતરની ચૂંટણીઓમાં ભાજપનો કેસરીયો લહેરાયો છે. ત્યારે વાંકાનેરમાં પણ પરિણામો કેવા અપસેટ સર્જે છે ? તે જોવાનું રહ્યું.