સામખીયાળીમાં ઉલ્ટી થતાં કારનો દરવાજો ખોલ્યો, બહાર ફેંકાઇ જતાં નિરાલીનું મોત
પરિણીતા માતા-મામા સાથે મોરબી નવરાત્રી કરવા જતી'તીઃ રાજકોટમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૧૬: સામખીયાળીમાં સાસરૂ ધરાવતી પરિણિતા બે દિવસ પહેલા પોતાના માતા અને મામા સાથે કારમાં બેસી સામખીયાળીથી માવતરે મોરબી નવરાત્રી કરવા જઇ રહી હતી ત્યારે રસ્તામાં ઉલ્ટી થતાં ચાલુ કારે દરવાજો ખોલતાં બહાર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાણવા મળ્યા મુજબ સામખીયાળી શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેતી નિરાલી અક્ષય લકુમ (રજપૂત) (ઉ.વ.૨૦)ને મોરબીથી તેના મામા અને માતા નવરાત્રી કરવા તેડવા આવ્યા હોઇ તેની સાથે ૧૪મીએ તે મોરબી જવા કારમાં બેસીને રવાના થઇ હતી. રસ્તામાં રેલ્વે સ્ટેશન પાસે તેણીને ઉલ્ટી ઉબકા થતાં ચાલુ કારનો દરવાજો ખોલતાં અકસ્માતે બહાર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં સામખીયાળી, આદિપુર સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કર્યા હતા.