ગીર સોમનાથ જિ.ના ઇણાજ ખાતે કોવીડ-૧૯ની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી સચિવ પટેલ
પ્રભાસપાટણ તા.૧૬ : ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ અંગે લેવામાં આવેલ પગલાઓ/કામગીરીનું સુપરવિઝન,અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા પ્રભારી સચિવશ્રી અધિકારીશ્રી દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
તેઓશ્રીએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,ગીર સોમનાથ જિલ્લામા કયા સ્થળેથી કોરોના વાયરસના દર્દીઓ વધુ આવે છે તે વિસ્તાર શોધી તપાસ કરવી.સંક્રમિત વિસ્તારમાં વધુમાવધુ લોકોના આરોગ્યની તપાસ કરવી. કોરોના વાયરસથી વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે જરૂરી પગલા લેવા કહ્યું હતું.કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા અને આરોગ્ય વિભાગને પુરતા પ્રમાણમાં પ્રયાસો કરવા કહ્યું હતું. વધુમાવધુ લોકોના સેમ્પલ લઈ તપાસ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચેતન મહેતાએ પાવર પ્રેઝેન્ટેશન દ્રારા કોવિડ-૧૯ની અંગેની માહિતી આપી હતી. આ પ્રસંગે કલેકટરશ્રી અજયપ્રકાશ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર,અધિક કલેકટરશ્રી પ્રજાપતિ,જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર,એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.નિમાવત, ડો.બામરોટીયા, આર.એમ.ઓ.ડો.જે.એસ.પાધરેસા,ચીફ ઓફિસર જતીન મહેતા અને આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.